પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર તણાવની વચ્ચે ભારતે એક મોટી રાજદ્વારી સફળતા હાંસલ કરી છે. ભારતના સતત દબાણના પરિણામે પાકિસ્તાને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન પૂર્ણમ કુમાર સાહુને કસ્ટડીમાંથી મુક્ત કર્યા છે.
BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ 23 એપ્રિલ, 2025 થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતો. મળતી માહિતી મુજબ, આજે બુધવારે સવારે લગભગ 10.30 વાગ્યે અમૃતસરની જોઈન્ટ ચેક પોસ્ટ અટારી દ્વારા સાહુને ભારતને સોંપવામાં આવ્યો છે. બીએસએફના પ્રવક્તાએ માહિતી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો હતો. બંને દેશો વચ્ચે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલા પણ થયા હતા. આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો. જોકે, યુદ્ધવિરામ પછી, 14 મેના રોજ, BSF અને પાક રેન્જર્સે તેમના વિસ્તારોમાંથી પકડાયેલા સૈનિકોને શાંતિપૂર્ણ રીતે પરત કર્યા છે. ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, BSF એ રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો. સૈનિકના બદલામાં ભારતે પાક રેન્જર પણ પાકિસ્તાનને સોંપી દીધો છે.