યુવા મતદારો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ હવે વધુ સીધી અને સંગઠિત બનતી જોવા મળી રહી છે. પાર્ટીએ દેશભરના Gen Z એટલે કે નવી પેઢીના યુવાનો સાથે સતત સંવાદ વધારવા માટે ખાસ Outreach Teamની રચના કરી છે. આ ટીમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક જાણીતા નેતાઓને સ્થાન મળ્યું છે.
ભાજપ દ્વારા રચવામાં આવેલી આ ટીમમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ઉપરાંત રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓ.પી. ચૌધરીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, ટીમનો મુખ્ય હેતુ યુવાનોના પ્રશ્નો, વિચારો અને અપેક્ષાઓને સમજવા માટે તેમના સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે.
આ Outreach Programme હેઠળ દેશના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ખાસ કરીને Gen Z સાથે સંવાદ કાર્યક્રમો યોજવાની તૈયારી છે. યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાર્ટી દ્વારા આ અભિયાન નજીકના સમયમાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ નિર્ણય ભાજપની તાજેતરની સંગઠનાત્મક ફેરબદલી બાદ આવ્યો છે. 17 ઓગસ્ટે નીતિન નબીનના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓને નવી જવાબદારીઓ આપવામાં આવી હતી.