સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝેરયુક્ત લાડુનો પ્રસાદ બનાવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવાર બહાર ગયું હતુ તે દરમિયાન કોઈ વ્યક્તિએ દરવાજા પર ઝેરયુક્ત પ્રસાદ લટકાવી હતી. પરિવારે ઘરે આવ્યા બાદ આ પ્રસાદને આરોગ્ય હતો. ઝેરયુક્ત પ્રસાદથી પરિવારના સભ્યનો તબિયત લથડી હતી.ધાર્મિક પ્રસાદના નામે પરિવારને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતુ.
ઉત્રાણ વિસ્તારમાં આવેલી ‘શાલીગ્રામ હાઇટ્સ’ સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડાના પરિવારે આ પ્રસાદ લીધા બાદ અચાનક તબિયત લથડી ગઈ હતી. સ્થિતિ ગંભીર બનતા પરિવારના ત્રણ સભ્યોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ બનાવને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કૃત્ય કોઈ અજાણ્યા વ્યક્તિનું નહીં પરંતુ પરિવાર સાથે ઓળખ ધરાવતા અથવા અંગત અદાવત રાખતા વ્યક્તિનું હોઈ શકે છે.
પ્રસાદ ક્યારે મૂકવો, પરિવાર ક્યારે ઘરે હશે અને કેવી રીતે શંકા ન જાય તે રીતે આ કાવતરું રચાયું હોય તેવો સંકેત મળે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ઝેરી પ્રસાદ પાછળ આખરે કોણ છે અને તેનો હેતુ શું હતો.