Wednesday, Apr 8, 2026

અમરેલી જિલ્લામાં ફરી એક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

2 Min Read

ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય ગણાતા ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે અમરેલી જિલ્લાના મીતીયાળા પંથકમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકાઓથી ફફડાટ વ્યાપી ગયો છે, જ્યાં ગત રાત્રીથી સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા માત્ર એક જ આંચકાની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી છે, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૩ કિલોમીટર દૂર વાંકિયા ગામ નજીક નોંધાયું હતું, જેની રિક્ટર સ્કેલ પર 3.3 તીવ્રતા નોંધાઈ હતી.

જો કે બીજી તરફ સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં સવારે ૪:૧૫ કલાકે ૧.૮, ૪:૧૬ કલાકે ૨.૩, ૪:૨૪ કલાકે ૧.૦, અને ૪:૫૭ કલાકે ૧.૪ની તીવ્રતાના આંચકા બાદ સવારે ૭:૦૦ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ શ્રેણીમાં સવારે ૭:૧૫ કલાકે ૩.૫૮ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ સવારે ૭:૫૧ અને ૮:૫૭ કલાકે ૧.૫ની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સતત આવી રહેલા આ આંચકાઓને કારણે મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ચારેક દિવસ પહેલા નવસારીના વાંસદા પંથકમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 5:27 વાગ્યા આસપાસ અચાનક ધરા ધ્રૂજી ઉઠી હતી. ખાસ કરીને વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં ભૂકંપનો વધુ અનુભવ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ નોંધાયેલો આ ભૂકંપનો 15મો આંચકા હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય
Share This Article