GEN-Z પછી GEN-ALPHA એક્શનમાં! પટનાના ગર્દનીબાગમાં છ વર્ષનો આદિત્ય કુમાર પોતાના માતા-પિતાને ન્યાય અપાવવાની માંગ સાથે ધરણા પર બેઠો અને PM નરેન્દ્ર મોદીને મળવાની જીદ પકડી છે. થોડા દિવસ પહેલાં BPSC સંબંધિત વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી વચ્ચે ચર્ચામાં આવેલો આ બાળક હવે પોતાના પરિવાર સાથે થયેલા કથિત અન્યાયની તપાસની માંગ કરી રહ્યો છે.
આદિત્યના જણાવ્યા પ્રમાણે, 25 ઓગસ્ટે પટનામાં BPSC અને શિક્ષક ભરતી પરીક્ષા TRE-4 સંબંધિત માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસ તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું તથા બેરિકેડ હટાવવાના પ્રયાસ બાદ પાણીના ફુવારા અને લાઠીચાર્જની કાર્યવાહી થયાના અહેવાલ છે.
બાળકનો આરોપ છે કે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને આશરે આઠ કલાક સુધી માતા-પિતાથી અલગ રાખવામાં આવ્યો હતો. તેણે પોતાના માતા-પિતા સાથે મારપીટ થયાનો પણ દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ભીડમાં સંભવિત ભાગદોડથી બચાવવા બાળકને સુરક્ષિત સ્થળે લઈ જવાયો હતો અને બાદમાં તેને પરિવારને સોંપવામાં આવ્યો હતો.
30 ઓગસ્ટે આદિત્ય પોતાના માતા-પિતા સાથે બિહારના DGP વિનય કુમારને મળ્યો અને ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાથે લેખિત ફરિયાદ આપી હતી. બાળકનું કહેવું છે કે તેને DGP પર વિશ્વાસ છે અને ન્યાયની આશા છે. દરમિયાન, 1 સપ્ટેમ્બરે સાંસદ પપ્પુ યાદવની ખાતરી બાદ આદિત્યએ પોતાનું ધરણું સમાપ્ત કર્યું હોવાની PTIએ જાણકારી આપી છે.

