સુરતના રાંદેર વિસ્તારમાં નાની વાતે એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ધોરણ-8માં અભ્યાસ કરતા માત્ર 13 વર્ષના માસુમે માતાના ઠપકા બાદ આત્યંતિક પગલું ભરતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકો ઘરમાં મસ્તી કરી રહ્યા હતા ત્યારે માતાએ તેમને મસ્તી ન કરવા ઠપકો આપ્યો હતો. આ બાદ કિશોરે મન પર વાત લઈ લીધી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, કિશોર તેના ભાઈ-બહેન સાથે ઘરે મસ્તી કરી રહ્યો હતો. દરમિયાન માતાએ બંનેને ઠપકો આપી મસ્તી બંધ કરવા કહ્યું હતું. માતાના ઠપકા બાદ કિશોરે આત્યંતિક પગલું ભર્યું હતું. ઘરના દાદરની ગ્રીલ સાથે લટકતી હાલતમાં તે મળી આવ્યો હતો, જેના પગલે પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી અને પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મામલે રાંદેર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસની તપાસમાં પરિવારજનોના નિવેદનો સહિત ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. નાની ઉંમરે બનેલી આ કરુણ ઘટનાએ બાળકોની ભાવનાત્મક સંવેદનશીલતા અને તેમની સાથે સતત સંવાદ જાળવવાની જરૂરિયાત તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે.





