Home Blog

VIDEO: નેપાળ પૂર બાદ કાટમાળના ઢગલા નીચે કેટલા કરોડનું સોનું અને રોકડ મળ્યું?

નેપાળમાં વિનાશક પૂર અને ભેખડધસારા બાદ જ્યાં નજર કરો ત્યાં માત્ર કાદવ, કાટમાળ અને તબાહી દેખાઈ રહી છે, ત્યાં જ એક બેંકના કાટમાળમાંથી કરોડો રૂપિયાનું સોનું અને રોકડ મળતા સૌનું ધ્યાન ખેંચાયું છે. નુવાકોટની કૃષિ વિકાસ બેંકની ત્રિશૂલી ઢુંગે શાખા પૂરથી ભારે નુકસાનગ્રસ્ત બની હતી. પોલીસ અને બચાવકર્મીઓએ જોખમી પરિસ્થિતિમાં સતત મહેનત કરીને બેંકના અંદરના મૂલ્યવાન સામાનને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો.

નેપાળ પોલીસના જણાવ્યા મુજબ, લગભગ આઠ કલાકની સતત કામગીરી બાદ બેંકમાંથી આશરે 1.5 કરોડ નેપાળી રૂપિયા રોકડા, અંદાજે 50 કરોડ નેપાળી રૂપિયા મૂલ્યનું સોનું અને મહત્વના દસ્તાવેજો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ બચાવ કામગીરીનો વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં પૂરથી ક્ષતિગ્રસ્ત બેંકમાંથી કાટમાળ દૂર કરવાની અને અંદર રહેલા લૉકર તથા અન્ય સામાનને બહાર લાવવાની કાર્યવાહી જોવા મળે છે.

સ્થાનિક અહેવાલો અનુસાર, પૂરથી બેંકની ઇમારતનો નીચલો ભાગ ભારે અસરગ્રસ્ત થયો હતો, જેના કારણે અંદર રહેલી નાણાકીય સંપત્તિને નુકસાનનું જોખમ ઊભું થયું હતું. પોલીસ ટીમે પડકારજનક સ્થિતિ વચ્ચે રોકડ, સોનું અને દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

નવરાત્રિની એ કાળરાત્રિનો આખરે આવ્યો ચુકાદો, ભાયલી ગેંગરેપના પાંચેય આરોપીઓના સામે અદાલતે શું ભર્યા પગલાં?

0

નવરાત્રિમાં જ્યાં ગરબાના તાલ અને ઉજવણીનો માહોલ હતો, ત્યાં વડોદરાની ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે થયેલા જઘન્ય ગુનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. લગભગ બે વર્ષ સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા, પોલીસની વિશાળ તપાસ અને કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ બાદ હવે આ ચકચારી કેસમાં પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વડોદરાની વિશેષ પોક્સો કોર્ટે 31 ઓગસ્ટે સજા સંભળાવી હતી.

આ કેસમાં 4 ઓક્ટોબર 2024ની નવરાત્રિની બીજી રાત્રે સગીરા પોતાના એક મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં ગઈ હતી. બંને એકાંત સ્થળે બેઠા હતા ત્યારે પાંચ શખસો બે બાઇક પર ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ બંનેને ધમકાવી સગીરાના વાહનની ચાવી લઈ લીધી હતી. ત્યારબાદ ઘટનાએ ગંભીર વળાંક લીધો અને સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ફરિયાદ બાદ પોલીસ દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ માટે સૌથી મોટો પડકાર આરોપીઓને ઓળખવાનો હતો, કારણ કે ઘટનાસ્થળ એકાંત વિસ્તારમાં હતું. તપાસમાં CCTV ફૂટેજ, મોબાઇલ અને ટેકનિકલ ઇનપુટ સહિતના પુરાવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું અને મજૂરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે પાંચેયને ઝડપી લીધા બાદ કેસમાં મજબૂત પુરાવા એકત્ર કર્યા હતા.

ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશને 45 સાક્ષીઓ રજૂ કર્યા હતા અને CCTV તથા મેડિકલ સહિતના વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ મૂક્યા હતા. લગભગ 22 મહિના ચાલેલી સુનાવણી બાદ 20 ઓગસ્ટ 2026ના રોજ પાંચેય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ સજા અંગેની દલીલો થઈ હતી. સરકાર પક્ષે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મહત્તમ સજાની માંગ કરી હતી અને મૃત્યુદંડ ન અપાય તો જીવનના અંતિમ સમય સુધી કેદની માગણી પણ કરી હતી.

આખરે 31 ઓગસ્ટે કોર્ટના ચુકાદા સાથે ભાયલી ગેંગરેપ કેસની લાંબી કાનૂની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો અને પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

‘મુંબઈ પોલીસ’નો એક ફોન અને પૂર્વ IPSના પરિવારના ખાતાં ખાલી!

વડોદરામાં સાયબર ઠગોએ એવો ભય ઊભો કર્યો કે પરિવારને લાગ્યું જાણે કાયદાની પકડમાંથી બચવાનો કોઈ રસ્તો જ નથી. મુંબઈ પોલીસ, CBI અને RBIના અધિકારી બનીને કરાયેલા ફોન અને વીડિયો કોલ દ્વારા પૂર્વ IPS અધિકારીના પરિવારને નિશાન બનાવાયો અને ગંભીર નાણાકીય ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો નહીં, પરંતુ રૂ.1.53 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજો અને સતત દેખરેખના નામે પરિવાર પર માનસિક દબાણ બનાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, સાયબર ઠગોએ મહિલાને ફોન કરીને તેમના દિવંગત પતિના નામે ક્રેડિટ કાર્ડ જારી થયાનો દાવો કર્યો હતો. ત્યારબાદ વીડિયો કોલ મારફતે પોતાને મુંબઈ પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીના અધિકારી તરીકે ઓળખાવી પરિવાર વિરુદ્ધ મની લોન્ડરિંગ સહિતની ગંભીર તપાસ ચાલી રહી હોવાનું કહ્યું હતું.

ઠગોએ વિશ્વાસ જીતવા માટે RBI અને બેંકના લેટરહેડ, સહી તથા સ્ટેમ્પવાળા બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાણાં એક કહેવાતા સુરક્ષિત સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવાની સૂચના અપાઈ હતી. આ રીતે પરિવાર પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે કુલ રૂ.1,53,04,047 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. કેટલીક ફિક્સ્ડ ડિપોઝિટ પણ તોડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પરિવારના એક પરિચિતને શંકા જતા સમગ્ર મામલો ચકાસવામાં આવ્યો અને ત્યારબાદ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ નંબર, વીડિયો કોલ અને બનાવટી દસ્તાવેજોના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.

શ્રીરામ સાથે છેતરપિંડી? આ મંદિરને દાનનો આટલાં કરોડનો ચેક બાઉન્સ

0

એક તરફ આયોધ્યાના રામ મંદિરમાં ટ્રસ્ટના કર્મચારિઓ જ કરોડો રૂપયાનું દાન ચોરી કર્યાના આક્ષેપો છે તોહ બીજી તરફ દાતાઓએ રામ મંદિરને દાન પેટે આપેલ કરોડો રૂપયાના ચેક બાઉન્સ થાય છે. આ ઘટના ઘોર કળયુગના પુરાવા આપે છે.

અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આપવાની વાત વચ્ચે હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને સૌ કોઈ ચોંકી જશે. ચેન્નાઈની એક મહિલા શ્રદ્ધાળુએ મંદિરના કર્મચારીઓની સુવિધા અને પગારમાં સુધારો કરવા માટે આપેલો ₹4 કરોડનો ચેક બાઉન્સ થઈ ગયો છે. તપાસ દરમિયાન સંબંધિત બેંક ખાતામાં માત્ર ₹3 જ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ચેન્નાઈની એસ. નાગલક્ષ્મીએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો ચેક આપ્યો હતો. તેમની ઇચ્છા હતી કે આ રકમનો ઉપયોગ મંદિરના કર્મચારીઓના કલ્યાણ માટે કરવામાં આવે. આ ઉપરાંત તેમણે રામલલાના દર્શન દરમિયાન અલગથી ₹10,000નું દાન પણ આપ્યું હતું. આ ₹4 કરોડના ચેકની રસીદ પણ આપવામાં આવી હતી.

ચેક બેંકમાં રજૂ થયા બાદ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી તેનું પેમેન્ટ થઈ શક્યું નહોતું. હવે બેંક દ્વારા દાતાને નોટિસ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આ ઘટના સામે આવ્યા બાદ રામ મંદિરને મળતા મોટા દાન અને તેની પ્રક્રિયા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

VIDEO: વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

0

માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી રહેલા વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે ધમાકેદાર બેટિંગ કરતાં વૈભવે એવો રેકોર્ડ તોડી નાખ્યો, જે 57 વર્ષથી અડીખમ હતો. તેણે દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાનો કારનામો કર્યો હતો.

બેંગલુરુના સેન્ટર ઑફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ઓફ સ્પિનર સારંશ જૈનની બોલ પર સિક્સ ફટકારી તેણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.

આ પહેલાં આ રેકોર્ડ લક્ષ્મણ સિંહના નામે હતો. તેમણે 1969માં 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારી હતી. વૈભવે તેમની સરખામણીએ વધુ નાની ઉંમરે આ સિદ્ધિ મેળવીને 57 વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ફિફ્ટી બાદ પણ વૈભવનો આક્રમક અંદાજ યથાવત રહ્યો હતો. તે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, પરંતુ હર્ષ દુબેની બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં 92 રન બનાવીને આઉટ થયો. તેણે 81 બોલની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

આ વૈભવની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજી અડધી સદી છે. અગાઉ તેણે રણજી ટ્રોફીમાં મેઘાલય સામે માત્ર 33 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

VIDEO નેપાળ પૂરનો કહેરઃ મૃત્યુઆંક 903ને પાર, હજારો લાપતા; ભારતીયોને લઈને પણ સામે આવી મોટી અપડેટ

નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના વિનાશક પૂર બાદ તબાહીનું સાચું ચિત્ર હવે સામે આવી રહ્યું છે. જ્યાં એક તરફ હજુ પણ લાપતા લોકોની શોધ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ સતત મળી રહેલા મૃતદેહોના કારણે મૃત્યુઆંક 903 સુધી પહોંચી ગયો છે. નેપાળ સરકારના 31 ઓગસ્ટના તાજા આંકડા મુજબ 4,247 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે અત્યાર સુધી 10,451 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

રાહત અને બચાવ કામગીરી માટે નેપાળમાં 20,819 સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી હેલિકોપ્ટરની 411 ઉડાનો દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરાઈ છે.

ભારતીયોને લઈને મોટી અપડેટ

ભારતીય નાગરિકોને બચાવવા માટે પણ ભારતે રેસ્ક્યૂ અને રાહત કામગીરી તેજ કરી છે. 30 ઓગસ્ટે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 149 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને તેમના નામોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. ભારતની 19 સભ્યોની ફોરેન્સિક ટીમ કાઠમંડુમાં DNA નમૂનાઓના વિશ્લેષણ દ્વારા અજાણ્યા મૃતદેહોની ઓળખમાં મદદ કરી રહી છે.

મૃતદેહોની ઓળખ અને જાળવણી પણ મોટો પડકાર બની છે. હાલમાં અનેક અજાણ્યા મૃતદેહોને અલગ-અલગ હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે અને પરિવારજનો પોતાના સ્વજનોની શોધમાં હોસ્પિટલ, રાહત કેમ્પ અને અન્ય સ્થળોએ ભટકી રહ્યા છે.

નેપાળમાં હાલ શોધ, બચાવ અને મૃતદેહોની ઓળખ—ત્રણે કામગીરી એકસાથે ચાલી રહી છે. હજારો પરિવારજનો હજુ પોતાના સ્વજનોની કોઈ ખબર મળવાની રાહ જોઈ રહ્યા છે.

તાળા લગાવી માનતા માગે છે ભક્તો! શ્રાવણના ત્રીજા સોમવારે જાણો ‘તાળા વાળા મહાદેવ’ની અનોખી માન્યતા

શ્રાવણના ત્રીજા સોમવારે વાત કરીએ એક એવા મહાદેવ મંદિરની, જ્યાં ભક્તો પોતાની માનતા માટે ફૂલ-પ્રસાદ સાથે તાળું પણ લગાવે છે. પ્રયાગરાજમાં ભગવાન શિવનું એક એવું મંદિર છે, જ્યાં ભક્તો પોતાની માનતા ‘ માટે ફૂલ-પ્રસાદની સાથે તાળું પણ લગાવે છે. મંદિર પરિસરની જાળીઓ અને અન્ય ભાગોમાં લટકતા હજારો તાળા અહીં આવનારા લોકોનું ધ્યાન ખેંચે છે. આ અનોખી પરંપરાને કારણે મુટ્ઠીગંજ વિસ્તારમાં આવેલું નાથેશ્વરનાથ મહાદેવ મંદિર લોકોમાં ‘તાળા વાળા મહાદેવ’ નામે પણ જાણીતું બન્યું છે.

સ્થાનિક માન્યતા મુજબ, પોતાની કોઈ ઈચ્છા કે મનત લઈને ભક્તો અહીં ભગવાન શિવની પૂજા કર્યા બાદ મંદિર પરિસરમાં તાળું લગાવે છે. કેટલાક ભક્તો તાળા પર પોતાનું નામ અથવા ઓળખ પણ લખે છે, જેથી મનત પૂર્ણ થયા બાદ તે તાળું ઓળખી શકાય છે. તાળાની ચાવી ભક્ત પોતાના પાસે રાખે છે. ઈચ્છા પૂર્ણ થાય ત્યારબાદ તેઓ ફરી મંદિર પહોંચીને તાળું ખોલે છે અને ભગવાન શિવજીનું પૂજન કરે છે.

મંદિર અંગેના અહેવાલો મુજબ, પરિસરમાં હજારો તાળા લગાવવામાં આવ્યા છે. તાળાંની સંખ્યા વધતી જતા જૂના તાળા હટાવીને નવા ભક્તો માટે જગ્યા બનાવવામાં આવે છે. આ પરંપરા ભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલી છે.

શ્રાવણના સોમવાર અને મહાશિવરાત્રિ જેવા પર્વો દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠે છે. ભક્તો માટે અહીં લગાવેલું દરેક તાળું તેમની માનતા, આશા અને ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક બની જાય છે.

નાણાં, નોકરી અને પરિવાર… 31 ઓગસ્ટે કોની કિસ્મત લેશે વળાંક? વાંચો આજનું રાશિફળ

૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
સોમવારના દિવસે ભગવાન ભોળાનાથની કૃપાથી સપ્તાહની શરૂઆત નવી ઊર્જા અને ઉત્સાહ સાથે થશે. કાર્યક્ષેત્રે તમારી યોજનાઓ સફળતાપૂર્વક આગળ વધશે અને અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે અને અટકેલા નાણાં મળવાના યોગ છે. પરિવારમાં આનંદ અને સ્નેહપૂર્ણ વાતાવરણ રહેશે.


​વૃષભ (Taurus):
આજે નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવા અને અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો લાભદાયી રહેશે. પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ યોજનાઓની ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બહારના આહારથી દૂર રહેવું.


​મિથુન (Gemini):
તમારી બૌદ્ધિક ક્ષમતા અને વાતચીતની શૈલીથી અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. વેપાર-ધંધામાં નવા સંપર્કો લાભદાયી સાબિત થશે અને આવકના સ્ત્રોત વધશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુકૂળ સમય છે. મિત્રો સાથે મુલાકાત મનને પ્રસન્ન કરશે.


​કર્ક (Cancer):
રાશિ સ્વામી ચંદ્રના પ્રભાવથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં મન લાગશે. નોકરીમાં તમારી કાર્યનિષ્ઠાની પ્રશંસા થશે અને નવી જવાબદારી મળી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. યોગ્ય આરામ લેવો જરૂરી છે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને કાર્યક્ષેત્રે તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સામાજિક વર્તુળમાં માન-સન્માન વધશે અને મહત્વના નિર્ણયોમાં સફળતા મળશે. આર્થિક બાબતોમાં પ્રગતિ અને સારો લાભ જોવા મળશે. પરિવાર સાથે સુખદ ક્ષણો વિતાવશો.


​કન્યા (Virgo):
સપ્તાહના પ્રથમ દિવસે કામનો ભાર વધુ હોવા છતાં યોગ્ય આયોજનથી તમામ કામો પાર પાડી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને ઉતાવળા નિર્ણયો ન લેવા. પરિવારજનો તરફથી પૂરો સાથ મળશે. ધ્યાન અને વ્યાયામથી માનસિક હળવાશ અનુભવાશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં મોટો નફો થવાના અને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાના યોગ છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય અને ઉત્સાહવર્ધક રહેશે. મન દિવસભર પ્રફુલ્લિત રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે. કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓ શાંત રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધશે અને મન શાંતિ અનુભવશે. ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે. નાની યાત્રા લાભદાયી અને સુખદ નીવડી શકે છે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદથી દૂર રહેવું. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું ફળ સકારાત્મક આવશે. નાણાકીય બાબતોમાં આયોજન જાળવવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો લાભ થશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ વધુ દ્રઢ બનશે. તમારી સર્જનાત્મકતાની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. ખર્ચ પર અંકુશ રહેશે અને બચતમાં વધારો થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.

આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે ? ગણતરીના વર્ષોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દેશમાં અને વિશ્વમાં હિંદુ સનાતન ધર્મ સાથે જોડાયેલાં મંદિરો સહિત ૧૩૦૦ સંસ્થાઓ સાકાર કરી!!

સુરતની મુલાકાતે આવેલા જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલી વાતોએ લોકોને દિગ્મૂઢ કરી દીધા

BAPSના સૌપ્રથમ અટલાદરા ખાતેના મંદિરનું નિર્માણ કરવા જરૂર પડી ત્યારે ખુદ પ્રમુખસ્વામી ચક્કીમાં ચૂનો પીસવા બળદની જગ્યાએ જોડાઈને ચૂનો પીસતા હતા…

અમેરિકા, પેરિસ, આફ્રિકા સહિત અન્ય દેશોમાં હિંદુ સનાતન મંદિરોનાં નિર્માણ બાદ ઈસ્લામિક દેશ અબુધાબીમાં મંદિરનું નિર્માણ કરીને ઇતિહાસ રચ્યો હતો, વળી, અબુધાબીના રાજા શેખે મંદિરનિર્માણ માટે ૨૭ એકર જમીન ફાળવવા સાથે વીજળી, પાણી આજીવન વંશપરંપરાગત માફ કરી દીધા

અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં ૨૮૬ એકરમાં પથરાયેલા હિંદુ સનાતન મંદિરમાં હિંદુઓ ઉપરાંત ચાઈનીઝ, મેક્સિકન, સ્પેનિશ નાગરિકો પણ હવે રોજબરોજના મુલાકાતી હોવા ઉપરાંત ભારતીય હિંદુ સંસ્કૃતિથી પ્રભાવિત થઈ જોડાઈ રહ્યા છે

અને હવે સુરતમાં ૧૫૦ એકરમાં સાકાર થઈ રહેલા ભારતના સૌથી વિશાળ BAPSના હિંદુ સનાતન મંદિરની આગામી છ માસમાં મહંત સ્વામીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશેઃ જ્ઞાનવત્સલ સ્વામી

થોડા દિવસ પહેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્ઞાનવત્સલ સ્વામી એક સન્યાસી સંત હોવા છતાં ઉચ્ચકોટિના આ સંતના પ્રત્યેક શબ્દમાં સમાજ અને વ્યક્તિગત સુધાર, કલ્યાણની વાત હોય છે. તેઓ માત્ર BAPS સંસ્થાનો પ્રચાર કરતા નથી, પરંતુ તેમની દરેક વાત અને શબ્દમાં સામાજિક ચારિત્ર્ય ઘડવાનો બોધ આપતા આવ્યા છે. જ્ઞાનવત્સલ સ્વામીને વારંવાર સાંભળવાનું મન થઈ આવે છે. તેમના વક્તવ્યને સાંભળ્યા પછી સમજવા માટે વારંવાર મનન કરવાથી સરવાળે સમાજકલ્યાણ અને આત્મકલ્યાણની શીખ તરી આવે છે.
પ્રમુખસ્વામીએ તેમના સદેહે અને ત્યાર પછી કરેલા સમાજનિર્માણ અને સમાજ કલ્યાણનાં કાર્યોને પાછું ફરીને જોવામાં આવે તો સમજાશે કે તેમણે સાધુવેશે સામાજિક ક્રાંતિની મિસાલ પ્રગટાવી હતી અને પ્રમુખસ્વામીના પ્રત્યેક અનુયાયી સંતોમાં તેમની દૃઢતા અને સનાતન ધર્મ મારફતે સમાજકલ્યાણની ભાવના ધબકતી આવી છે. પ્રમુખસ્વામી એક એવા સંત હતા કે જેમણે ગણતરીનાં વર્ષોમાં વિશ્વ આખામાં સનાતનની ધજા ફરકાવવા સાથે સદ્ગુણો અને સદાચારનો પ્રચાર-પ્રસાર કર્યો છે. પ્રમુખસ્વામીએ માત્ર અમેરિકા જ નહીં, વિશ્વના ઇસ્લામિક દેશોમાં પણ સ્વામિનારાયણ મંદિરોની સ્થાપના કરીને સમગ્ર વિશ્વ સમક્ષ નવાં ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. આરબ અમીરાત એટલે કે અબુધાબીમાં મુસ્લિમ રાજાઓના સહયોગથી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવાનું અશક્ય લાગતું કામ પ્રમુખસ્વામીએ જરા પણ વિચલિત થયા વગર નિઃસંકોચ પાર પાડ્યું હતું.

જરૂરિયાતમંદો માટે કામ કરતા સુરતના યુવાશક્તિ ગ્રુપ આયોજિત ‘‘ઉત્કર્ષ’’ કાર્યક્રમમાં પધારેલા જ્ઞાનવત્સલ સ્વામીજીએ કરેલી પ્રત્યેક વાત, ટકોર શરીરના રૂંવાડા ઊભી કરી દેતી હતી. આમ તો જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવાની અનેક તકો મળી છે અને સોશિયલ મીડિયા ઉપર તો કરોડો લોકો જ્ઞાનવત્સલ સ્વામીને ફોલો કરી રહ્યા છે, પરંતુ ‘યુવાશક્તિ ગ્રુપ’ના કાર્યક્રમમાં તેમનો ‌‌િમજાજ સાવ જુદા પ્રકારનો હતો, તેમણે સતત અસ્ખલિત પ્રવાહમાં આપેલા વકતવ્યમાં લોકો લીન થઈ ગયા હતા. સમગ્ર વકતવ્ય દરમિયાન તેમણે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા, પરંતુ ક્યાંય પણ વાતની કડી તૂટતી નહોતી. શ્રોતાઓ આંખનું મટકું માર્યા વગર જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળી રહ્યા હતા અને એટલા બધા તરબોળ થઈ ગયા કે ઇચ્છતા હોય કે જ્ઞાનવત્સલ સ્વામી સતત વાણીનો પ્રવાહ વહેડાવતા રહે!

જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામીની વાત કરતા કહ્યું હતું કે, લોકો જ્યારે નિવૃત્તિનું વિચારતા હોય તેવા સમયે પ્રમુખ સ્વામીએ જીવનના ૫૧મા વર્ષે કારકિર્દીની શરૂઆત કરી હતી. કારણ કે, પ્રમુખસ્વામી ૫૧મા વર્ષે ગુરૂપદે આવ્યા હતા. પ્રમુખસ્વામીએ કરેલા એક પણ નિર્ણયમાં તેમને પીછેહઠ કરવી પડી હોય એવી એક પણ ઘટના બનવા પામી નથી. પ્રમુખસ્વામીએ તેમની કારકિર્દી દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં ૧૩૦૦ સંસ્થાઓનું નિર્માણ કર્યું હતું, જેમાં મંદિરો, શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાઓ માત્ર ભારતમાં જ નહી,ં વિશ્વના અનેક દેશોમાં સ્વામિનારાયણના સનાતન હિંદુ મંદિર ‘અક્ષરધામ’ના નામે નિર્માણ કર્યા છે. અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના રોબિનવિલ્સમાં ૨૮૬ એકરમાં સાકાર કરવામાં આવેલું ‘અક્ષરધામ’ આજે અમેરિકામાં સનાતન ધર્મના મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. અહીંયા સાકાર કરવામાં હિંદુ મ્યુઝિયમની રોજના સેંકડો લોકો મુલાકાત લઈ રહ્યાં છે. આ મુલાકાતીઓ પૈકીના મોટાભાગના મુલાકાતી ચાઈનીઝ, મેક્સિકન અને સ્પે‌‌િનશ લોકો હોય છે!

જ્ઞાનવત્સલ સ્વામીએ અબુધાબીમાં સાકાર કરવામાં આવેલા ‘અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરનાં નિર્માણને ચમત્કાર ગણાવતા કહ્યું હતું કે, જે દેશમાં મૂર્તિ તો ઠીક, કોઈ ધર્મના દેવી-દેવતાઓનો ફોટો લઈ જવાનું શક્ય જ નથી એવા ઈસ્લામિક દેશમાં પ્રમુખસ્વામીએ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવાની વાત કરી ત્યારે સંતો સહિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. બધાએ પ્રમુખ સ્વામી સમક્ષ અબુધાબીમાં મંદિર નિર્માણની વાત અશક્ય હોવાનું કહ્યું ત્યારે પણ પ્રમુખસ્વામી તેમના નિર્ણયમાં મક્કમ હતા.

પ્રમુખસ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસાર અને મંદિરોના નિર્માણ માટે કરેલી મહેનત અને પરિશ્રમની વાત કરતા જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, અટલાદરા ખાતે જ્યારે સૌપ્રથમ ‘અક્ષરધામ’ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એ જમાનામાં સિમેન્ટનું અસ્તિત્વ જ નહોતું. મંદિરો-મકાનો પથ્થરો અને માટીથી નિર્માણ કરાતા હતા. અટલાદરામાં મંદિરનું બાંધકામ કરતી વખતે બાંધકામમાં સિમેન્ટની જગ્યાએ વપરાતો ચૂનો ચક્કીમાં પીસવો પડતો હતો અને ચક્કી ફેરવવા માટે એક બળદને જોડવો પડતો હતો. પરંતુ ખેડૂતો પાસેથી માંગીને લાવવામાં આવતો બળદ ખેતીના કામમાં રોકાયેલો હોય ત્યારે ખુદ પ્રમુખસ્વામી બળદની જગ્યાએ પોતાની જાતને દોરડાથી જોડીને ચક્કીમાં ચૂનો પીસતા હતા!!

જ્ઞાનવત્સલ સ્વામીની આ વાત સાંભળીને લોકો દંગ રહી ગયા હતા. પરંતુ જૂની પેઢીના લોકોના કહેવા મુજબ જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલી વાતમાં જરા પણ અતિશયો‌‌િક્ત નહોતી. અલબત્ત, જ્ઞાનવત્સલ સ્વામીની એક એક વાતમાં હંમેશાં સનાતન સત્ય ટપકતું હોય છે.

લંડનમાં અક્ષરધામના નિર્માણ બાદ પ્રમુખસ્વામીએ શારજાંહના રણમાં બેસીને અબુધાબીમાં મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રમુખસ્વામીના ચારિત્ર્યમાં ગજબની તાકાત હતી. દરમિયાન ૨૦૧૫ના વર્ષમાં અબુધાબીના રાજાએ નિર્ણય કર્યો કે, અબુધાબીમાં એક હિંદુ મંદિર હોવું જોઈએ. લાંબી તપાસના અંતે અબુધાબીના રાજાએ BAPSની પસંદગી કરી અને પ્રારંભે માત્ર સાત એકર જમીનની ફાળવણી કરી. પરંતુ સાત એકર જમીનમાં મંદિર સાકાર કરવું શક્ય નહોતું. સંતોની વાત સાંભળીને અબુધાબીના શેખે આખરે ૨૭ એકર જમીન દાનમાં આપી હતી! અને વર્ષ ૨૦૨૪માં મહંત સ્વામીએ ૧૦ હજાર મૂર્તિઓ સાથેના અક્ષરધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી!

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત થઈને અબુધાબીના શેખે તેમના વંશને પરંપરાગત મંદિરના વીજળી, પાણી વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત મંદિરની સિક્યોરિટીની ફરજ પણ અબુધાબીની પોલીસ સંભાળી રહી છે! જ્ઞાનવત્સલ સ્વામીએ BAPSના ભવ્ય ઇતિહાસને વર્ણવતા કહ્યું હતું કે, પેરિસમાં અક્ષરધામનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પ્રમુખસ્વામી ભારતીય પથ્થરોમાંથી મંદિરનું નિર્માણ કરવા માંગતા હતા. પરંતુ ત્યાંની સરકાર માટે આ શક્ય નહોતું. કારણ કે, ત્યાંની સરકારને ભારતીય પથ્થરોની મજબૂતાઈ સામે શંકા હતી. પરંતુ પ્રમુખસ્વામી મક્કમ હતા અને આખરે લાંબા પરીક્ષણો બાદ ફ્રાંસ સરકારે પ્રમુખસ્વામીના સંકલ્પને મંજૂરી આપીને ભારતીય પથ્થરોમાંથી ભવ્ય મંદિર ‘અક્ષરધામ’નું નિર્માણ થયું. આ ઘટના પણ એક ચમત્કાર ગણી શકાય. આગામી સપ્ટેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે મહંત સ્વામી ૯૪ વર્ષની વયે આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરશે. મંદિરમાં શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, હનુમાનજી સહિત સનાતન ધર્મના દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

જ્ઞાનવત્સલ સ્વામીએ અસ્ખલિત કરેલી વાતો વચ્ચે તેમણે સુરતના કણાંદ વિસ્તારમાં સાકાર થઈ રહેલા દેશના સૌથી વિશાળ ‘અક્ષરધામ’નો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આવનારા છ મહિનાઓમાં મહંત સ્વામી સુરતના કણાંદ ખાતે ૧૫૦ એકરમાં સાકાર થઈ રહેલા ભારતના સૌથી વિશાળ સનાતન હિંદુ મંદિર ‘અક્ષરધામ’ને ખૂલ્લું મૂકશે. જ્ઞાનવત્સલ સ્વામીએ મોડી રાત સુધી લોકોને જકડી રાખ્યા હતા અને કાર્યક્રમ પૂરો થયો ત્યારે લોકો એક નવા આત્મવિશ્વાસ સાથે બહાર નીકળ્યા હતા. સંવેદના, સહકાર, સમભાવ અને સહભાિગતાના વિચાર સાથે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે કાર્ય કરતા ‘યુવાશક્તિ ગ્રુપ’ દ્વારા વલથાણ આઉટર રિંગરોડ સ્થિત સંપદા ફેસ્ટિિવટી ફાર્મમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ચાર હજાર કરતા વધુ લોકોએ હાજરી આપી હતી.

એશિયન ગેમ્સ પહેલાં જ ‘ગોલ્ડન બોય’ બહાર! નીરજ ચોપરાના આ નિર્ણય પાછળનું કારણ શું?

0

ભારતને એશિયન ગેમ્સ 2026 પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ભાલાફેંક એથ્લીટ અને બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપરા હવે 2026ની બાકીની સમગ્ર સિઝનમાં ભાગ નહીં લે. ટખામાં થયેલા લિગામેન્ટ ટિયર બાદ નીરજે 29 ઓગસ્ટે સોશિયલ મીડિયા મારફતે આ જાહેરાત કરી હતી. આ નિર્ણયના કારણે તેઓ આગામી ડાયમંડ લીગ ફાઇનલ અને એશિયન ગેમ્સ 2026માંથી પણ બહાર થઈ ગયા છે.

નીરજના જણાવ્યા પ્રમાણે, લોઝાન ડાયમંડ લીગ બાદ ટ્રેનિંગ દરમિયાન તેમના ટખામાં લિગામેન્ટમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ડૉક્ટર અને પોતાની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે બાકીની સમગ્ર સિઝનમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો. નીરજે આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો હતો, ખાસ કરીને કારણ કે તેમને લાગતું હતું કે તેઓ ફરી પોતાની શ્રેષ્ઠ લય તરફ આગળ વધી રહ્યા હતા. હવે તેમનું સંપૂર્ણ ધ્યાન યોગ્ય રીતે રિકવરી કરીને વધુ મજબૂત વાપસી કરવા પર રહેશે.

આ ઈજા એવા સમયે થઈ છે જ્યારે નીરજની ફોર્મમાં સુધારો જોવા મળી રહ્યો હતો. 21 ઓગસ્ટે લોઝાન ડાયમંડ લીગમાં તેમણે 88.05 મીટરનો સીઝન-બેસ્ટ થ્રો કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શન સાથે તેઓ ડાયમંડ લીગ ફાઇનલ માટે પણ ક્વોલિફાય થયા હતા. હવે 4 અને 5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ જોવા નહીં મળે.

2026ની સિઝનમાં નીરજે લાંબા ઈજા વિરામ બાદ વાપસી કરી હતી. જૂનમાં દોહા ડાયમંડ લીગમાં 85.69 મીટરનો થ્રો કરીને તેઓ ચોથા સ્થાને રહ્યા હતા. ત્યારબાદ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે 85.83 મીટરના પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. લોઝાનમાં 88.05 મીટર સુધી પહોંચતા તેમની ફોર્મમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો હતો.

નીરજની ગેરહાજરી ભારત માટે ખાસ કરીને એશિયન ગેમ્સમાં મોટો ફટકો છે. Aichi-Nagoya Asian Games 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 સુધી જાપાનમાં યોજાશે. નીરજની ગેરહાજરીમાં ભારતની ભાલાફેંકની મેડલની આશાઓ પર અસર પડી શકે છે.

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલાફેંકનું ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 2026ની બાકીની સિઝનમાંથી બહાર થયા બાદ તેમની સામે સૌથી મોટો પડકાર સંપૂર્ણ ફિટનેસ સાથે ટ્રેક પર પરત ફરવાનો રહેશે.