મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક લોકોએ પરાગ શાહને ધુત્કાર્યા, કાઢી મુક્યા તો કેટલાંક ગરીબોએ અડધામાંથી અડધો ટુકડો પણ આપ્યો
ભિક્ષુકયાત્રા દરમિયાન પરાગ શાહને દુનિયાની વાસ્તવિકતાના અનેક અનુભવ થયા, ગરીબે આપેલા ટુકડા સામે કરોડોની સંપત્તિની કોઈ વિસાત નથી તો બીજી તરફ સમય આવ્યે પોતીકા પણ પારકા બની જતા હોવાનો અનુભવ કર્યો
નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને વાસ્તવિક દુનિયાનો અનુભવ કરાવવા માંગતા હતા અને એટલે જ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા આદેશ કર્યો હતો, પરાગ શાહ માટે નમ્રમુનિ મહારાજ સાહેબનો આદેશ સર્વોપરી હતો
મુંબઈના ઘાટકોપરના ભાજપના ધારાસભ્ય પરાગ શાહના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ખમતીધર, આર્થિક રીતે સધ્ધર અને વેપાર-ઉદ્યોગમાં મોટું નામ અને કામ ધરાવતા પરાગ શાહ જૈન ધર્મના નિયમપાલનમાં પણ એટલા જ ચુસ્ત અને પ્રામાણિક છે અને એટલે જ ભાજપે મહારાષ્ટ્રની ગત ચૂંટણીમાં ઘાટકોપર બેઠક માટે પરાગ શાહની પસંદગી કરી હતી અને તેમના પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના આગેવાનોએ ઘાટકોપર અને અન્ય બેઠકો માટે પ્રચાર કરવા ગયા હતા.

અલબત્ત પરાગ શાહની ખુદની એટલી બધી લોકપ્રિયતા છે કે એમના માટે ચૂંટણીપ્રચાર કરવાની જરૂર નહોતી, લોકો સામે ચાલીને પરાગ શાહને નોંધપાત્ર બહુમતીથી જીતાડવા તલપાપડ હતા અને ચૂંટણીનાં પરિણામો આવતા પરાગ શાહ જંગી બહુમતિથી ચૂંટાઇ આવ્યા હતા.
ખેર, પરાગ શાહનું બીજું જમા પાસું એ છે કે તેઓ ચુસ્ત માનવતાવાદી હોવા ઉપરાંત જૈન ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને જૈન પરંપરાનું નખશિખ આચરણ કરતા આવ્યા છે. ભગવાન મહાવીરના બોધને તેમણે જીવનચર્યામાં વણી લીધો છે.
મુંબઇ મહાનગર ભાજપ જૈનસેલના પ્રમુખ સી.વી. શાહના કહેવા મુજબ પરાગ શાહ અજાતશત્રુ છે, હંમેશાં પરોપકારમાં માનતા પરાગ શાહની સવાર પહેલું કામ પરોપકાર કરવાથી પડે છે. જાહેર જીવનમાં પરાગ શાહ ભાજપની વિચારધારાથી રંગાયેલા છે. પરંતુ પોતાની રાજકીય વિચારધારાને બાજુમાં રાખીને કોઇપણ ધર્મ, વર્ગ, સમાજને ઓળખ્યા વગર હંમેશા સમાજસેવાની આહલેક જગાવતા આવ્યા છે. પરાગ શાહ માટે માનવીય કર્મ અને માનવતા મુખ્ય વિચારધારા છે.

પર્યુષણ પર્વ દરમિયાન પરાગ શાહે જીવમાત્રના કલ્યાણ માટે બે હાથે મૂડી વહેંચી હતી અને છેલ્લે તેમના આધ્યાત્મિક ગુરૂ નમ્રમુનિ મહારાજના આદેશથી ભિક્ષુકનો વેશ ધારણ કરીને શેરીઓમાં ભિક્ષા પણ માંગી હતી! એક કરોડપતિ વ્યક્તિ ભિક્ષુકનું રૂપ ધારણ કરી શહેરની ગલીઓમાં ભીખ માંગવા નીકળે ત્યારે વાત સાંભળવાનું પણ અસહજ લાગે. રોજ લાખોનું દાન કરનાર માણસ રોડ ઉપર ઊતરીને લોકો પાસે ભિક્ષા માટે હાથ ફેલાવે ત્યારે સાંભળનાર કોઈના માટે પણ અચરજ પમાડનારું લાગે પરંતુ ગુરૂદેવના આદેશથી પરાગ શાહ ભિક્ષુક બન્યા હતા. કરોડો, અબજોની સંપત્તિ, ભોગવિલાસ, પદ-પ્રતિષ્ઠા આ બધું નાશવંત, ક્ષુલ્લક અને ક્ષણિક છે. આ વાતનો જીવનમાં નમ્રમુનિ મહારાજ સાહેબે વાસ્તવિક અનુભવ કરાવ્યો હતો અને પરાગ શાહ પોતાની અસલ ઓળખ છુપાવીને ભિક્ષુક બનીને મુંબઇ મહાનગરની શેરીઓમાં નીકળ્યા ત્યારે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે કહેલા એક એક શબ્દનો સાક્ષાત્કાર થયો હતો. પરાગ શાહે ધાર્યું હોત તો જૈન મંદિરોમાં કરોડોની રકમ ન્યોચ્છાવર કરી શક્યા હોત, કરોડોનું કીર્તિદાન પણ કરી શક્યા હોત. અલબત્ત તેમણે આ બધું કર્યું છે અને કરતા પણ આવ્યા છે. પરંતુ તેમના માટે ગુરૂદેવનો આદેશ સર્વોચ્ચ હતો.
ભગવાન મહાવીરપ્રભુ પણ ભોગ, વિલાસ, સત્તા-સંપત્તિનો ત્યાગ કરીને આત્મ કલ્યાણના માર્ગે સંસારનો ત્યાગ કર્યો હતો. ભગવાન મહાવીર પ્રભુએ કહેલી એક એક વાત, એક એક સંદેશ વર્તમાન યુગમાં યથાર્થ ઠરી રહ્યા છે.

ધારાસભ્ય પરાગ શાહ સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવી રહ્યા છે. નમ્રમુનિ મહારાજ સાહેબ પરાગ શાહને ગરીબો, મજબૂર લોકો અને સમાજના કહેવાતા શ્રીમંત લોકોનો વ્યક્તિગત પરિચય કરાવવા માંગતા હતા અને પરાગ શાહે એક દિવસની ભિક્ષુક તરીકેની યાત્રા દરમિયાન ઘણા ઘણા અનુભવો કર્યા. ઘણા એવા લોકો મળ્યા જેમની પાસે કંઇ જ નહોતું છતા અડધામાંથી અડધો ટુકડો પરાગ શાહને આપ્યો હતો! મતલબ, ગરીબ લોકોમાં પણ દાતાર અને દયાવાન બંનેનો અનુભવ પરાગ શાહને થયો હતો. કેટલાક લોકોએ બે, પાંચ દસ રૂપિયા િભક્ષા તરીકે આપ્યા હતા. આ લોકો એવા હતા કે જેમનામાં ગરીબો માટે અનુકંપા હતી. તો કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે પરાગ શાહને દરવાજા નજીક પણ ઊભા રહેવા દીધા નહોતા. સિક્યોરીટી ગાર્ડને બોલાવીને ખદેડી મુક્યા હતા!
પરાગ શાહને આવા અનેક અનુભવો થવા સાથે દુનિયા અને જીવન બન્નેને નજીકથી જોવાની સમજવાની તક મળી હતી, બલ્કે હવે પછીના તેમના જીવનમાં અનેક બદલાવ જોવા મળશે. એક દિવસની આ યાત્રાએ પરાગ શાહને સમગ્ર જીવનયાત્રાનો મર્મ, ભેદ સમજાઈ ગયા હતા અને તેમણે જીવનનું સંપૂર્ણ પારદર્શક સત્ય સમજાવવા માટે ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનો વિનમ્ર ભાવે આભાર વ્યક્ત કર્યો હતો.
ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુકનો વેશ ધારણ કરીને ભિક્ષા માંગી હોવાની વાત સાંભળતા લોકો ચોંકી ઊઠ્યા હતા. તેમના ચિરપરિચિતો, ભાજપના કાર્યકરો, સમાજના આગેવાનો પરાગ શાહને મળવા દોડી ગયા હતા અને નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશનું અનુસરણ કરીને સમાજજીવનની વાસ્તવિકતા સમજવાના કરેલા પ્રયાસની સરાહના કરી હતી.
નમ્રમુનિ મહારાજ સાહેબ જૈન સમાજમાં આદરપાત્ર સંત છે. તેમનો પડેલો બોલ ઝીલવા સમગ્ર જૈન સમાજ હંમેશા આતુર હોય છે. નમ્રમુનિ મહારાજ સાહેબ ઉચ્ચ આસને બિરાજતા હોવા છતાં તેઓ ધરતી ઉપર પગ રાખીને કરૂણા વરસાવનારા સંત છે. છેવાડાનો સામાન્ય વ્યક્તિ પણ ઇચ્છે તો કોઇપણ પ્રકારની ઔપચારિકતા વગર તેમને મળી શકે છે. પોતાની વાત, ઇચ્છા, મુશ્કેલી વ્યક્ત કરીને માર્ગ મેળવવા સાથે આશીર્વાદ પણ મેળવી શકે છે. નમ્રમુનિ મહારાજ સાહેબને સાંભળવા લાખોની મેદનીનો સતત પ્રવાહ વહેતો રહે છે. અત્યંત પવિત્ર અને પ્રભાવી નમ્રમુનિ મહારાજ સાહેબના આદેશથી સમાજજીવનમાં પદ, પ્રતિષ્ઠા અને કરોડોનો કારોબાર ધરાવતા પરાગ શાહ જેવા ખમતીધર આગેવાન ભિક્ષા માંગવા નિકળે આ ઘટના જ નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રભાવનું જીવંત ઉદાહરણ છે. વળી પર્યુષણ પર્વના અંતિમ દિવસે બનેલી ઘટનાએ માત્ર જૈન સમાજમાં જ નહીં, જાહેરજીવન માટે પણ ત્યાગની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.







