છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ કનેક્ટિવિટી હવે ફરી આકાશમાં જોવા મળશે. ચાઇના સધર્ન એરલાઇન્સે જાહેરાત કરી છે કે 21 સપ્ટેમ્બર 2026થી નવી દિલ્હી અને ગ્વાંગઝૂ વચ્ચે નિયમિત દૈનિક સીધી પેસેન્જર ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.
ચાઇના સધર્ન એરલાઇન્સની સત્તાવાર સમયસૂચિ મુજબ ગ્વાંગઝૂથી દિલ્હી આવતી ફ્લાઇટ CZ359 સ્થાનિક સમય મુજબ બપોરે 3:35 કલાકે ઉડાન ભરશે અને સાંજે 7 વાગ્યે દિલ્હીમાં પહોંચશે. જ્યારે દિલ્હીથી ગ્વાંગઝૂ જતી CZ360 ફ્લાઇટ રાત્રે 8:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 4:15 કલાકે ગ્વાંગઝૂ પહોંચશે. આ સેવા દરરોજ ચાલશે.
આ રૂટ લગભગ છ વર્ષ સુધી બંધ રહ્યો હતો. કોરોના મહામારી અને ત્યારબાદ ભારત-ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે બંને દેશો વચ્ચેની સીધી હવાઈ કનેક્ટિવિટી લાંબા સમય સુધી પ્રભાવિત રહી હતી. હવે સીધી ફ્લાઇટ ફરી શરૂ થતાં બંને દેશો વચ્ચે મુસાફરી વધુ સરળ બનવાની શક્યતા છે.
નવી સેવાનો લાભ વેપારીઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને બંને દેશો વચ્ચે નિયમિત અવરજવર કરતા લોકો સહિત અનેક મુસાફરોને થઈ શકે છે. ચીન-ભારત સંબંધોમાં રાજદ્વારી સ્તરે સુધારાની વચ્ચે આ હવાઈ સેવા કનેક્ટિવિટી વધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.





