આધુનિક જીવન શૈલી ની એક વિડંબના છે, “વધુ ને વધુ” મેળવવાની સતત દોડ. વધુ પૈસા, વધુ સુવિધા, વધુ પ્રતિષ્ઠા, વધુ વસ્તુઓ અને વધુ ઉપભોગ… આમ પાસે ઘણું હોવા છતા મન કહે છે કે હજુ વધુ થોડું જોઈએ.
પર્યુષણ આ દોડ ને રોકવાનું કહે છે. જૈન પરિભાષામાં આ માટે વિરતી શબ્દ પ્રયોજાયો છે. વિરતી એટલે અટકવું, વિરતી એટલે વિરામ, વિરતી એટલે સંયમ.
ભોજન જરૂરી છે પરંતુ અતિભોજન નહીં. સંપત્તિ જરૂરી છે પણ લોભ નહીં. બોલવું જરૂરી છે પણ દરેક વાતને જવાબ આપવો જરૂરી નથી.
આજની ઉપભોક્તા સંસ્કૃતિમાં જાહેરાતો આપણને સતત સમજાવે છે જે આપણી પસે છે તે પુરતું નથી. જે જરૂરીયાતોને વધારે છે, ખરેખર તો એક ક્ષણ થોભીને જાતને પુછ્યું જોઈએ કે, હું જે ખરીદુ છુ.
તેની મને ખરેખર જરૂર છે કે માત્ર અમર્યાદ ઈચ્છા છે..? જે માણસ પોતાની જરૂરીયાત અને લાલસા વચ્ચેનો તફાવત સમજી જાય છે તે જીવનમાં વધુ સ્વતંત્ર બને છે. પર્યુષણ આપણને યાદ અપાવે છે કે વસ્તુઓ આપણા જીવનમાં રહે પરંતુ આપણું જીવન વસ્તુઓના કબ્જામાં ન જાય. સંયમનો અર્થ જીવનમાંથી આનંદની બાદબાકી નથી પરંતુ અનાવશ્યક ભારને ઘટાડવો છે.
ઉપવાસ, વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચન, શ્રવણ આ બધી આરાધના પર્યુષણમાં કરવા દ્વારા આત્મસંયમ કેળવવાનો છે. સુખ સાધનોમાંથી પ્રગટતું નથી પરંતુ સંતોષમાંથી પ્રગટે છે. વસ્તુઓના ખડકલામાંથી નહિ પરંતુ સંતોષશીલ ભીતરી વ્યવક્તિત્વથી પ્રસન્નતા પ્રગટે છે. વિચાર, વાણી અને વર્તનનું મૌન આપણ ને ભીતર તરફ લઈ જાય છે. રોજીંદી દોડમાંથી વિરામ લઈ અંદર તરફ ગતિ કરીએ તો પર્યુષણની આરાધના સાર્થક છે.
ખરેખરતો એક ક્ષણથોભીને આપણી જાતને પુછવું જોઇએ કે હું ખરીદું છું તેની ખરેખર જરૂર છે.





