2019માં પાકિસ્તાન સામેની હવાઈ અથડામણમાં પોતાના સાહસથી દેશભરમાં જાણીતા બનેલા વિરચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન હવે નવી ભૂમિકા સાથે આકાશમાં નજરે પડશે. ભારતીય વાયુસેનામાં લગભગ 22 વર્ષની સેવા બાદ તેમણે 31 માર્ચ 2026ના રોજ નિવૃત્તિ લીધી અને હવે ગોવા આધારિત પ્રાદેશિક એરલાઇન FLY91 સાથે કમર્શિયલ પાઇલટ તરીકે જોડાયા છે. અહેવાલો અનુસાર તેઓ ઓગસ્ટ 2026માં એરલાઇનમાં જોડાયા હતા અને હાલમાં કમર્શિયલ ઓપરેશન માટે જરૂરી તાલીમ લઈ રહ્યા છે.
અભિનંદન વર્ધમાનનું નામ 27 ફેબ્રુઆરી 2019ની ભારત-પાકિસ્તાન હવાઈ અથડામણ બાદ દેશભરમાં ચર્ચામાં આવ્યું હતું. બાલાકોટ એરસ્ટ્રાઈકના બીજા દિવસે પાકિસ્તાની વિમાનોએ ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે મિગ-21 બાઇસન ઉડાવી રહેલા અભિનંદને પાકિસ્તાની એફ-16 વિમાનને હવાઈ મુકાબલામાં તોડી પાડ્યું હતું. ભારત સરકારની સત્તાવાર વિરચક્ર પ્રશસ્તિમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મુકાબલા દરમિયાન તેમનું મિગ-21 પણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેમને પાકિસ્તાની વિસ્તારમાં ઇજેક્ટ કરવું પડ્યું હતું. ત્યારબાદ તેમને પાકિસ્તાનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ભારતના પ્રયાસો બાદ 1 માર્ચ 2019ના રોજ તેઓ ભારત પરત ફર્યા હતા. તેમના શૌર્ય અને ફરજ પ્રત્યેની અડગતા બદલ તેમને 2021માં વિરચક્ર, ભારતના યુદ્ધકાળના ત્રીજા સર્વોચ્ચ શૌર્ય સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
હવે અભિનંદન તેમની કારકિર્દીની નવી ઇનિંગમાં પ્રવેશી ચૂક્યા છે. FLY91 સાથે જોડાયા બાદ તેઓ સૈન્યના ફાઇટર જેટની જગ્યાએ નાગરિક મુસાફરોને લઈ જતાં વિમાન ઉડાવશે. એરલાઇને તેમની સાથે જોડાણની પુષ્ટિ કરી છે, પરંતુ કર્મચારીની ખાનગી માહિતીનો હવાલો આપીને વધુ વિગતો જાહેર કરી નથી. તાલીમ અને જરૂરી નિયમનકારી મંજૂરી પૂર્ણ થયા બાદ તેઓ FLY91ની પ્રાદેશિક સેવાઓમાં ATR 72-600 વિમાન ઉડાવે તેવી શક્યતા છે.





