ભારતના ક્રિકેટ ઇતિહાસનો 600મો ટેસ્ટ યાદગાર બની ગયો છે. ગોલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલની ટીમે યજમાનને 165 રને હરાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. મેચનો સૌથી મોટો હીરો બન્યો 24 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથાર, જેણે બંને ઈનિંગ્સમાં મળીને 10 વિકેટ ઝડપી ભારતને શાનદાર જીત અપાવી હતી. બીજી ઈનિંગ્સમાં તેણે 55 રનમાં 6 વિકેટ ઝડપી શ્રીલંકાની આખી બેટિંગ લાઇન-અપ તોડી નાખી હતી.
ભારતે પ્રથમ ઈનિંગમાં 462 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. દેવદત્ત પડિક્કલે શાનદાર 167 રન ફટકારી પોતાની પ્રથમ ટેસ્ટ સદી ઉપરાંત મોટી ઈનિંગ રમી હતી. કે.એલ. રાહુલે 82 અને ધ્રુવ જુરેલે 51 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 284 રનમાં સમેટાઈ હતી, જેના કારણે ભારતને 178 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી.
ભારતે બીજી ઈનિંગમાં 193 રન બનાવ્યા અને શ્રીલંકા સામે 372 રનનું લક્ષ્યાંક મૂક્યું હતું. ઋષભ પંતે 66, પડિક્કલે 44 અને રાહુલે 35 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ પાંચમા દિવસે 84/4થી આગળ રમત શરૂ કરી હતી, પરંતુ માનવ સુથાર અને ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શક્યું નહીં. આખી શ્રીલંકન ટીમ 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સુથાર સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને રવિન્દ્ર જાડેજા તથા મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ 84 અને કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 59 રન બનાવી સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લક્ષ્યાંક ઘણો મોટો હતો. ભારતની જીતમાં દેવદત્ત પડિક્કલના 167 અને 44 રનની ઈનિંગ્સ બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા.
માનવ સુથાર માટે આ માત્ર બીજી ટેસ્ટ મેચ હતી. જૂનમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ તેણે ગોલમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે, જ્યાં ભારત શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.