Tuesday, Aug 18, 2026

PM CARES ફંડનો ડેટા જાહેર: એક વર્ષમાં ₹1,279 કરોડનો વધારો, જાણો હાલ કેટલું છે બેલેન્સ

2 Min Read

PM CARES Fundમાં એક જ વર્ષમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. તાજા ઓડિટેડ હિસાબો મુજબ માર્ચ 2025 સુધીમાં ફંડનું કુલ બેલેન્સ વધીને ₹8,452.07 કરોડ થઈ ગયું છે. એક વર્ષ પહેલાં આ રકમ ₹7,173.03 કરોડ હતી. દરમિયાન ફંડમાં દાન, વ્યાજ અને રિફંડ સહિતની આવક થઈ હતી, જ્યારે ખર્ચ માત્ર ₹87.85 લાખ રહ્યો હતો.

ઓડિટેડ વિગતો પ્રમાણે ફંડની કુલ રકમમાંથી લગભગ 92.8 ટકા એટલે કે ₹7,846.66 કરોડ શેડ્યૂલ્ડ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યા હતા. 2024-25 દરમિયાન ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ફંડને ₹469.38 કરોડનું વ્યાજ મળ્યું હતું. જ્યારે સેવિંગ્સ બેંક ખાતામાંથી ₹5.77 કરોડનું વ્યાજ મળ્યું હતું.

આ સમયગાળા દરમિયાન ફંડને ₹479.04 કરોડનું ઘરેલુ દાન મળ્યું હતું. વિદેશી દાન તરીકે ₹92.83 લાખ મળ્યા હતા. આ ઉપરાંત અમલીકરણ એજન્સીઓ પાસેથી ₹324.66 કરોડ રિફંડ તરીકે મળ્યા હતા. ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર TDSના રિફંડ તરીકે પણ ₹13.49 લાખ મળ્યા હતા.

PM CARES Fundની સ્થાપના 27 માર્ચ 2020ના રોજ COVID-19 મહામારી જેવી કટોકટીની સ્થિતિમાં રાહત અને સહાય માટે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. 2020-21માં ફંડનો મોટાપાયે ઉપયોગ કોરોના સંબંધિત કામગીરી માટે થયો હતો. આ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કન્સન્ટ્રેટર, કોવિડ હોસ્પિટલ અને અન્ય તબીબી સાધનો માટે ખર્ચ કરવામાં આવ્યો હતો.

2021-22માં ફંડનું ક્લોઝિંગ બેલેન્સ ₹5,415.66 કરોડ રહ્યું હતું. ત્યારબાદ 2022-23માં તે વધીને ₹6,283.68 કરોડ અને 2023-24માં ₹7,173.03 કરોડ થયું હતું. હવે માર્ચ 2025 સુધીમાં બેલેન્સ ₹8,452.07 કરોડ પર પહોંચી ગયું છે.

આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારી બાદ ફંડનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે, જ્યારે બેલેન્સમાં સતત વધારો નોંધાયો છે.

Share This Article