માત્ર પાંદડા લેવા ઘરની બહાર નીકળેલી ચાર વર્ષની બાળકી માટે રસ્તા પરનો આ સામાન્ય લાગતી ક્ષણ અચાનક ભયાનક બની ગય હતી. પુણેના પિંપરી-ચિંચવડના ચિખલી વિસ્તારમાં સાત રખડતા કૂતરાઓએ બાળકી પર હુમલો કરી બચકાં ભરતા થયેલી ગંભીર ઇજા ને પગલે 80થી વધુ ટાંકા લેવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે બની હતી. બાળકી નજીકના ઝાડ પરથી પાંદડા લેવા માટે ઘરની બહાર ગઈ હતી. એ સમયે ત્યાં રખડતાં કૂતરાના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. CCTVમાં દેખાય છે કે શરૂઆતમાં બે કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો અને તેને જમીન પર પાડી દીધી હતી. ત્યારબાદ અન્ય કૂતરાઓ પણ તેની તરફ ધસી આવ્યા હતા.
બાળકી ડરીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૂતરાઓએ તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિવારના જણાવ્યા મુજબ, હુમલો આશરે 43 સેકન્ડ સુધી ચાલ્યો હતો. કૂતરાઓએ તેના માથા, હાથ અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
બાળકીની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કૂતરાઓને ભગાડ્યા બાદ ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. ઘટનાનું CCTV ફૂટેજ આજે સામે આવતા વિસ્તારમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ચિંતા વધી છે.
કલ્યાણમાં પણ રખડતા કૂતરાનો આતંક
મહારાષ્ટ્રના કલ્યાણમાં પણ રવિવારે એક રખડતા કૂતરાએ લગભગ સાત કલાકમાં 130 લોકોને નિશાન બનાવ્યા હોવાનો અહેવાલ છે. આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ગંભીર રીતે ઘાયલ 11 વર્ષની બાળકીને વધુ સારવાર માટે મુંબઈની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રખડતા કૂતરાઓના વધતા હુમલાઓ વચ્ચે સ્થાનિક તંત્ર સામે હવે લોકોની સુરક્ષા અને કૂતરાઓના નિયંત્રણ અંગે સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્દેશોમાં પણ રખડતા કૂતરાઓના હુમલાને ખાસ કરીને બાળકો સહિત સામાન્ય નાગરિકોની સલામતી સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવવામાં આવ્યો છે.