ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC-JSSC પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે ચાલી રહેલા આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરાવ કરવા આગળ વધતાં 5 બેરિકેડ તોડી પાડતા પોલીસે લાઠીચાર્જ કરતાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.
અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓ કાબૂમાં ના રહેતા અને અનેક બેરિકેડ પાર કરતા પોલીસ દ્વારા ભીડને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, પાણીનો મારો સહન કરતા કેટલાક પ્રદર્શનકારીઓ નારા લગાવતા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા. આંદોલનકારીઓ વિધાનસભાની નજીક પહોંચતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.
સ્થિતિ વધુ વણસતાં વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓને વિખેરી નાખવા લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો છે. લાઠીચાર્જના કારણે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી.
આંદોલનકારીઓ JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ સહિતની માંગણીઓ કરી રહ્યા છે. સરકાર દ્વારા તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિરાકરણની માંગ સાથે આંદોલન ચાલુ રાખી રહ્યા છે.