દિલ્હીના જંતર-મંતર પર થયેલા યુવા આંદોલન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો દેશની નવી પેઢી તરફ વિશ્વાસનો હાથ લંબાવ્યો છે. IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં તેમણે યુવાનોને માત્ર નોકરી કે કરિયરની દોડ પૂરતી નહીં, પરંતુ આગામી દાયકાઓમાં દેશના વિકાસની જવાબદારી સંભાળવા તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે.
નવી દિલ્હીમાં આજે IIT દિલ્હીના દીક્ષાંત સમારોહને સંબોધતા PM મોદીએ કહ્યું કે દરેક પેઢી સામે પોતાના સમયના પડકારો હોય છે અને તેની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ હોય છે. તેમણે યુવાનોને પોતાના નિર્ણયો લેતી વખતે એ વિચારવાની અપીલ કરી કે તેમના કામથી દેશને શું લાભ થઈ શકે છે.
PM મોદીએ કહ્યું કે આગામી 30થી 35 વર્ષ યુવાનોના જીવન માટે મહત્વપૂર્ણ રહેશે અને આ સમયગાળો ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાની યાત્રા પર પણ અસર કરશે. તેમણે ઝડપથી બદલાતી ટેક્નોલોજી અને વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સતત નવી વસ્તુઓ શીખતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
યુવાનો સાથે સીધું જોડાણ બનાવતા PM મોદીએ ભારતના સ્પેસ સેક્ટરનું ઉદાહરણ આપ્યું છે. તાજેતરમાં ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે વિકસાવેલા વિક્રમ-1 રોકેટની સફળતા તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું કે આજે યુવાનો માટે નવા ક્ષેત્રો ખુલ્યા છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસાવાયેલ ઓર્બિટલ રોકેટ બન્યું છે અને તેની સફળતાને દેશના ખાનગી સ્પેસ સેક્ટર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી છે.
PM મોદીએ Gen Zની ભાષાનો ઉપયોગ કરતાં એવી કલ્પના રજૂ કરી કે ભારતનો કોઈ યુવાન આજે કહી રહ્યો હશે—‘મારી વંશપરંપરામાં રોકેટ બનાવનાર પ્રથમ વ્યક્તિ હું છું.’ તેમણે ડ્રોન ક્ષેત્રના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા ઉપરાંત દવાઓ પહોંચાડવા જેવા કામોમાં થઈ રહ્યો છે.
PM મોદીના આ સંબોધનનું મહત્વ એટલા માટે પણ વધ્યું છે કે જંતર-મંતર પર CJPના નેતૃત્વમાં થયેલા NEET-UG 2026 પેપર લીક વિરોધી આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. પ્રધાનનું રાજીનામું વિરોધ કરી રહેલા યુવાનોની મુખ્ય માંગોમાંનું એક હતું.
આ સમગ્ર પૃષ્ઠભૂમિમાં PM મોદીનો સંદેશ સ્પષ્ટ હતો—યુવાનો દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાન પરિવર્તનના મુખ્ય ભાગીદાર પણ છે.