મહિલા કુસ્તીબાજોના યૌન ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા બાદ ઓલિમ્પિયન વિનેશ ફોગાટે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોર્ટના નિર્ણયથી નિરાશ વિનેશ ફોગાટે કહ્યું કે આ લડાઈ માત્ર એક ચુકાદા પર અટકવાની નથી અને ન્યાય માટેનો સંઘર્ષ આગળ પણ ચાલુ રહેશે.
વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, મહિલા કુસ્તીબાજોએ ખૂબ હિંમત કરીને પ્રભાવશાળી વ્યક્તિ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે શરૂઆતથી જ બ્રિજભૂષણ શરણ સિંહને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ફોગાટે કહ્યું કે ફરિયાદ કરનાર ખેલાડીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ તેઓ ન્યાયની આશા છોડશે નહીં.
તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલા કુસ્તીબાજોએ પોતાના વકીલોને આ ચુકાદા સામે અપીલ કરવાની સૂચના આપી છે અને કાયદાકીય લડાઈ આગળ વધારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છ મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા. આ મામલે વર્ષ 2023માં દિલ્હીના જંતર-મંતર પર લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન થયું હતું, જેનાથી દેશભરમાં ચર્ચા થઈ હતી.
બીજી તરફ, ચુકાદા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે તેમને ન્યાય મળ્યો છે.