Wednesday, Jul 29, 2026

દર્શન કરવા નીકળેલો સુરતના પરિવારને ધોલેરા એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત

1 Min Read

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર બનેલી એક ભીષણ અકસ્માતે સૌને હચમચાવી દીધા હતા. ધોલેરા નજીક સુરતના પરિવારની કાર અચાનક પલટી ખાઈને ખાઈમાં પડી હતી અને થોડી જ ક્ષણોમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 વર્ષીય મહિલા અને તેના એક વર્ષના પુત્રનું કારમાં જ મોત થયું હતું, જ્યારે મહિલાના પતિ અને સસરાનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે ધોળેરા વિસ્તારમાં ચાંદની હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. સુરતના કતારગામમાં રહેતા જતિન કાકડિયા (29), તેમની પત્ની અમી કાકડિયા (27), પુત્ર ધનુષ અને જતિનના પિતા સવજી કાકડિયા (62) ભાવનગરના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, જતિન કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને રોડની બાજુની ખીણમાં ખાબકી હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં તેમાં વિસ્ફોટ થયો હતો.

જતિન અને સવજીએ સમયસર કારમાંથી બહાર નીકળી જીવ બચાવ્યો હતો, પરંતુ પાછળની સીટ પર બેઠેલા અમી અને ધનુષ આગની લપેટમાંથી બહાર આવી શક્યા નહોતા. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

Share This Article