Thursday, Jul 16, 2026

સુરતમાં આજે બપોરે 3 વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન, ઇસ્કોનનો હાઇડ્રોલિક રથ બન્યો આકર્ષણનું કેન્દ્ર

2 Min Read

આજે સુરતમાં બપોરે 3 વાગ્યે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નીકળશે. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે ટ્રાફિકને સરળતાથી ચાલુ રહે એ માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અને વિવિધ માર્ગો પર ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યા છે.

આ વર્ષની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ આધુનિક હાઇડ્રોલિક રથ છે. આ વિશેષ વ્યવસ્થાને કારણે ભક્તોને ભગવાન શ્રી જગન્નાથજીના વધુ સરળ અને નજીકથી દર્શન કરવાનો અવસર મળશે. ઉપરાંત ભગવાનને વિશેષ શણગાર અને આકર્ષક વસ્ત્રોથી અલંકૃત કરવામાં આવ્યા છે, જેના કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.

આયોજકો દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ રથયાત્રા બપોરે 3 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 7 થી 8 વાગ્યા વચ્ચે પૂર્ણ થવાની શક્યતા છે. યાત્રા દરમિયાન સુરત રેલવે સ્ટેશન વિસ્તાર, રિંગ રોડ, અઠવા ગેટ, ગુજરાત ગેસ સર્કલ, રાંદેર રોડ અને જહાંગીરપુરા સહિતના મુખ્ય માર્ગો પર તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ ટ્રાફિક પોલીસની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરના મહત્વના સ્થળોએ પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી છે. ઉપરાંત CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિ અને સુવ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા તેમજ અનાવશ્યક રીતે રથયાત્રાના રૂટ પર વાહન લઈને ન આવવાની અપીલ કરી છે.

ભગવાન શ્રી જગન્નાથજીની આ ભવ્ય રથયાત્રાને લઈને સમગ્ર સુરત શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે, જ્યારે પ્રશાસન અને આયોજકોના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે સતત કામગીરી ચાલી રહી છે.

Share This Article