Monday, Jun 22, 2026

ગોડાદરામાં રોકાણના બહાને ₹4.71 લાખની છેતરપિંડી, માર્બલ વેપારી સામે ગુનો નોંધાયો

2 Min Read

સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં રોકાણ પર નફાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પાસેથી લીધેલી રકમ પરત ન આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદી સુશીલકુમાર બંશીધર શર્મા (ઉ.વ. 41), દેવધ ગામ સ્થિત આનંદી હાઇટ્સમાં રહે છે અને પુજારી તરીકે કાર્ય કરે છે. તેમની ફરિયાદ મુજબ, આરોપી શેખર જુગલકિશોર શર્મા, જે એસ.એસ. ગ્રેનિટો સ્ટોનવર્લ્ડ પ્રા. લિ.ના ડાયરેક્ટર હોવાનું જણાવાય છે, તેણે માર્બલના વ્યવસાયમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી.

ફરિયાદ અનુસાર, 20 ઓક્ટોબર 2024થી 4 મે 2025 દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી કુલ ₹6,16,000 રોકાણ તરીકે મેળવ્યા હતા. જોકે બાદમાં માત્ર ₹1,45,000 પરત આપ્યા હતા અને બાકીના ₹4,71,000 પરત આપ્યા નહોતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રૂપિયા પરત માંગતા આરોપીએ ગાળો આપી હતી અને અંદાજે એક મહિના અગાઉ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર ચાલ્યો ગયો હતો. જેના કારણે પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોવાની ફરિયાદી દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે.

આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) અને 352 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ એએસઆઈ ચેતનભાઈ બટુકભાઈ કરી રહ્યા છે. પોલીસે આરોપી અને તપાસ દરમિયાન સામે આવનારા અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.

Share This Article