Sunday, Apr 26, 2026

વસ્તી ગણતરી 2027: પીએમ મોદીની ડિજિટલ નોંધણી માટે અપીલ, કહ્યું– આ માત્ર સરકારી કામ નહીં, આપણી સંયુક્ત જવાબદારી

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી (Census 2027) ને સફળ બનાવવા હાકલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, આ વખતે જનગણના પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે.

પીએમ મોદીએ માહિતી આપી હતી કે, આ વખતે વસ્તીગણતરીનો અનુભવ સાવ અલગ હશે. ઘર-ઘર આવનારા કર્મચારીઓ પાસે મોબાઈલ એપ હશે, જેમાં તેઓ વિગતો નોંધશે. આ અભિયાન માત્ર સરકારી કામ નથી, પરંતુ દરેક ભારતીયની જવાબદારી છે.

આ વખતે સામાન્ય જનતા માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. નાગરિકો હવે પોતે જ પોતાની વિગતો ડિજિટલ માધ્યમથી નોંધી શકશે. ગણતરી કર્મચારી ઘરે આવે તેના 15 દિવસ પહેલા આ સુવિધા શરૂ થશે. તમે તમારી અનુકૂળતા મુજબ વિગતો ભરી શકશો. પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમને એક ખાસ આઈડી (ID) મળશે. જ્યારે કર્મચારી ઘરે આવે ત્યારે માત્ર આ આઈડી બતાવવાથી તમારી વિગતોની પુષ્ટિ થઈ જશે, ફરીથી માહિતી આપવાની જરૂર રહેશે નહીં.

વડાપ્રધાને દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલી તમામ જાણકારી સંપૂર્ણપણે સુરક્ષિત અને ગોપનીય રાખવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજે 1 કરોડ 20 લાખ પરિવારોના મકાનના લિસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પીએમ મોદીએ અંતમાં અપીલ કરી હતી કે, આવો, આપણે સૌ સાથે મળીને આ પ્રક્રિયામાં ભાગ લઈએ અને દેશના વિકાસ માટે સચોટ માહિતી પૂરી પાડીએ.

Share This Article