Saturday, Apr 25, 2026

કોઈ પણ કોર્ટ સગીરાને મરજી વિરુદ્ધ ગર્ભ રાખવા ફરજ પાડી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ

2 Min Read

કોઈ પણ મહિલાને તથા ખાસ કરી સગીરાને પોતાની મરજી વિરુદ્ધ ગર્ભ રાખવાની ફરજ કોર્ટ દ્વારા પાડી શકાય નહીં, તેવા તારણ સાથે સુપ્રીમ કોર્ટે 15 વર્ષની સગીરાને ગર્ભપાત કરવા મંજૂરી આપી હતી. સાત માસનો ગર્ભ ધરાવતી સગીરાના કેસમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, જે બાળકે હજુ જન્મ પણ લીધો નથી, તેની સરખામણીએ વધારે મહત્ત્વ ગર્ભસ્થ મહિલાની પસંદગીનું છે.

મરજી વિરુદ્ધ ગર્ભને જાળવી રાખવાથી સગીરાના માનસિક આરોગ્યને લાંબા સમયની ક્ષતિ પહોંચી શકે છે. તેના શિક્ષણ અને સામાજિક દરજ્જા ઉપરાંત સર્વગ્રાહી વિકાસને ગર્ભ રાખવાથી વિપરિત અસર થવાનું જોખમ છે.

જસ્ટિસ બી વી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઠરાવ્યુ હતું કે, જન્મ આપવા બાબતે મહિલાની ઈચ્છાને સૌથી વધુ મહત્ત્વ અપાવું જોઈએ. મહિલા પોતાની મરજી વિરુદ્ધ સગર્ભા થઈ હોય અને તેને ગર્ભ જાળવી રાખવાની પરજ પડાય તો તેનાથી મહિલાના બંધારણીય અધિકારનું હનન થશે. બંધારણની કલમ 21 અન્વયે જન્મ આપવાનો અધિકાર એ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અભિન્ન ભાગ છે. મહિલાઓ અને ખાસ કરીને સગીરાને બિન-ઈચ્છિત ગર્ભ રાખવાની ફરજ પાડી તેના બંધારણીય અધિકારને પ્રભાવહીન બનાવી શકાય નહીં.

દેશની તમામ કોર્ટ માટે આ પ્રકારના કેસમાં નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, કોઈ પણ કોર્ટે મહિલાને તથા સગીરાને તેની મરજી વિરુદ્ધ ગર્ભ રાખી સંતાનને જન્મ આપવા ફરજ પાડવી જોઈએ નહીં. આ પ્રકારની ફરજ રાખવાથી તેના મૂળભૂત અધિકારોનું અપમાન થાય છે અને તેને પારાવાર માનસિક-શારીરિક હેરાનગતિમાંથી પસાર થવું પડે છે.

બાળક ન જોઈતું હોય તો તેને જન્મ આપ્યા પછી કોઈને દત્તક આપી દેવું જોઈએ, તેવી સલાહ ઘણાં લોકો આપતા હોય છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, આ પ્રકારની સલાહો આપવાનું સહેલું છે, પરંતુ પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લેતાં બિન-ઈચ્છિત બાળકને જન્મ આપવાની ફરજ પડાય નહીં. આમ કરવાથી ગર્ભસ્થ શિશુ અને તેની માતા બંનેના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.

Share This Article