ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને, 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી અંબાલા જિલ્લાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ આદેશ હરિયાણા સરકારના ગૃહ વિભાગ દ્વારા દૂરસંચાર અધિનિયમ, 2023 અને ટેલિકોમ્યુનિકેશન નિયમો, 2024 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આદેશનો હેતુ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને ઇન્ટરનેટના દુરુપયોગ દ્વારા ફેલાતી અફવાઓને રોકવાનો હોવાનું કહેવાય છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દલ્લેવાલની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ડિવિઝન બેંચે કહ્યું કે, ‘દલ્લેવાલને તાત્કાલિક તબીબી સંભાળ આપવી જોઈએ, પરંતુ તેમને ઉપવાસ તોડવા માટે દબાણ ન કરવું. દલ્લેવાલનું જીવન આંદોલન કરતાં વધુ મૂલ્યવાન છે. તેમનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ.’
હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આજે ત્રીજી વખત ખેડૂતો દિલ્હી માર્ચની તૈયારીમાં છે. 101 ખેડૂતોનું એક જૂથ શંભુથી દિલ્હી તરફ કૂચ કરવા માટે આગળ વધશે, જ્યારે હરિયાણા સરહદ પર પોલીસ અને અર્ધલશ્કરી દળો બેરિકેડ સાથે તૈયાર છે. હરિયાણા પોલીસે ખેડૂતોના દિલ્હી તરફ કૂચ કરવાના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન છોડવામાં આવેલા ટીયર ગેસના શેલને કારણે ઘણા ખેડૂતો ઘાયલ થયા છે.
હવે જ્યારે ખેડૂતો શનિવારે દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર છે ત્યારે પોલીસે પણ તેમને રોકવાની તૈયારી કરી લીધી છે. સુરક્ષાના કારણોસર શંભુ બોર્ડરની આસપાસના ગામડાઓમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ થઈ શકે છે.
આ પણ વાંચો :-