Sunday, Sep 14, 2025

જાણો કોણ બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી? ફડણવીસ કે એકનાથ શિંદે

2 Min Read

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિનો વિજય થયો છે અને ભાજપ અપેક્ષા કરતા પણ વધુ મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. હવે રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા ચાલે છે ત્યારે તેમાં દેવેન્દ્ર ફડનવીસનું નામ મોખરે છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા ભાજપ તૈયાર નહીં થાય તેવી શક્યતા છે.

એકનાથ શિંદેની શિવસેનાને આ કદાચ નહીં ગમે કારણ કે ચૂંટણીનું કેમ્પેઈન તેમની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપના ટોચના નેતાઓ ફેરફાર લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ સ્વીકારે છે કે શિંદેના નેતૃત્વ, લાડકી બહેન યોજના અને તેમની છબીના કારણે ચૂંટણીમાં તેમને ફાયદો થયો છે. પરંતુ ભાજપ એવું પણ માને છે કે આ વિજયમાં હિંદુત્વના પરિબળે પણ ભૂમિકા ભજવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભાષણોએ પણ મતદારોને ભાજપ તરફ ખેંચી લાવવામાં ભૂમિકા ભજવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના મુખ્ય વ્યૂહરચનાકાર અમિત શાહ આ અંગે નિર્ણય લઇ શકે છે. માનવામાં આવે છે કે આ બંને ટોચના નેતાઓની સહમતિથી સોમવારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.

14મી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરીને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ રવિવારે માલાબાર હિલમાં રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને 15મી મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના નામો ધરાવતી ગેઝેટ અને ભારતના ચૂંટણી પંચની સૂચનાની નકલો રજૂ કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે ગત સરકારની જેમ આ વખતે પણ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી સરકારનો હવાલો સંભાળશે. પરંતુ હજુ સુધી તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી મંત્રાલયોનો સંબંધ છે, મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ સહિત મહત્તમ 43 મંત્રીઓ હોઈ શકે છે.

 

Share This Article