ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણા કદાવર મુખ્યમંત્રીઓ મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ યાદવને પાછળ છોડતાં રેકોર્ડ બનાવ્યો છે. તે ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબા સમય સુધી સતત કાર્યકાળ સંભાળાર મુખ્યમંત્રી બની ગયાં છે. યોગી આદિત્યનાથે સતત 7 વર્ષ 148 દિવસ સુધી સીએમ બનવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. યોગી પહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી ડોક્ટર સંપૂર્ણાનંદ આ પદ પર સૌથી વધુ સમય સુધી રહ્યાં છે. એટલું જ નહીં તે ઉત્તર પ્રદેશના વિધાન ભવન પર સતત આઠમી વખત ધ્વજ ફરકાવનાર પહેલા મુખ્યમંત્રી પણ બની ગયા છે.

ચૌધરી ચરણ સિંહ, મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ યાદવ સીએમ યોગીની આસપાસ પણ નથી. માયાવતીએ ચાર વખત યુપીના મુખ્યમંત્રી જ્યારે મુલાયમ સિંહે ત્રણ વખત શપથ લીધા પરંતુ તેમ છતાં તેઓ આ સિદ્ધિ મેળવી શક્યાં નહીં. બસપા પ્રમુખ માયાવતીએ ચાર વખત યુપીના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં પરંતુ તેમનો સંપૂર્ણ કાર્યકાળ સાત વર્ષ 16 દિવસનો હતો. મુલાયમ સિંહ યાદવ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન મુલાયમ સિંહ યાદવનો કુલ કાર્યકાળ છ વર્ષ 274 દિવસનો રહ્યો હતો.
ભારતના 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની છેલ્લા સાત વર્ષમાં ઉપલબ્ધિઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય છઠ્ઠા અથવા સાતમા સૌથી મોટા અર્થતંત્રમાંથી ભારતની બીજી સૌથી મોટી રાજ્ય અર્થવ્યવસ્થા બની ગયું છે, જે દેશના જીડીપીમાં 9.2% ફાળો આપે છે. સીએમ યોગી આદિત્યનાથે પોતાને યુપી સરકાર માટે સંભવિત વિકાસ એન્જિન તરીકે સ્થાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગણતરી તે નેતાઓમાં થાય છે, જેમના નેતૃત્વમાં પ્રદેશમાં કોઈ પાર્ટીની સતત બીજી વખત સરકાર બની. 25 માર્ચ 2022એ જ્યારે યોગીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા તો તેમણે નારાયણ દત્ત તિવારીનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. નારાયણ દત્તે વર્ષ 1985માં અવિભાજિત ઉત્તર પ્રદેશમાં બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. ઉત્તરાખંડ બન્યા બાદ યોગી પ્રદેશના પહેલા સીએમ છે, જે સતત બીજી વખત સત્તા પર છે.