મહારાષ્ટ્રના પુણે રોડ અકસ્માતમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક અને યુવતીને કચડી નાખનારા સગીરના પિતાને કસ્ટડી માં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સગીરે જે બારમાં પાર્ટી કરી હતી, તે બારના માલિક અને અને મેનેજરની પણ ૧૭ વર્ષના છોકરાને દારૂ પીરસવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સગીરના પિતા શહેરના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેમની પોર્શ રજીસ્ટ્રેશન નંબર વગર ચાલતી હતી. સવાલ એ છે કે સગીરના પિતાએ નવી પોર્શ કારની ડિલીવરી લીધી હતી, પણ હજી તેનું રજિસ્ટ્રેશન પણ બાકી હતું. RTOના નિયમ મુજબ રજિસ્ટ્રેશન નંબર વિનાની કાર ચલાવી શકાતી નથી. તેમ છતાં સગીર ઘરમાંથી પોર્શ કાર લઇને બહાર કેવી રીતે ગયો? ઘરના કોઇએ તેને રોક્યો કેમ નહીં? આવા સવાલો પણ વિચારવા જેવા છે.
પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે માહિતી આપી છે કે આરોપી સગીરના પિતા વિશાલ અગ્રવાલને મંગળવારે સવારે સંભાજીનગરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એવું જાણવા મળે છે કે આરોપીના પિતા પુણે શહેરના જાણીતા બિલ્ડર છે. હાલમાં જ તેમણે એક હોટેલ બનાવી છે અને તેઓ ક્લબ પણ ચલાવે છે. રવિવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે સર્જાયેલા આ અકસ્માતમાં મધ્યપ્રદેશના બે એન્જિનિયરોના મોત થયા છે. આ અકસ્માતમાં ૨૪ વર્ષીય અનીસ આવડિયા અને ૨૪ વર્ષીય અશ્વિની કોસ્ટાએ જીવ ગુમાવ્યા છે. યુવક અને યુવતી મધ્યપ્રદેશના રહેવાસી હતા અને પુણેમાં નોકરી કરતા હતા. બંને વ્યવસાયે એન્જિનિયર હતા. FIR મુજબ, બંને કલ્યાણીનગર જંકશન પર પહોંચ્યા કે તુરંત જ એક ઝડપે આવતી પોર્શ કારે મોટરસાઈકલને ટક્કર મારી. આ પછી બંને રસ્તા પર પડી ગયા અને ઘટનાસ્થળે જ તેઓ મૃત્યુ પામ્યા.
આ અકસ્માત રવિવારે મોડી રાત્રે થયો હતો. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે આરોપી સગીરને માત્ર ૧૪-૧૫ કલાકમાં જ જામીન મળી ગયા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એટલે કે જેજેબીએ આ ઘટનામાં સામેલ સગીરને અકસ્માત પર નિબંધ લખવો, પોલીસ સાથે ૧૫ દિવસ કામ કરવું, દારૂની લતમાંથી મુક્તિ મેળવવા ડૉક્ટરને મળવું જેવી શરતો પર જામીન આપ્યા હતા, જેની સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તાજેતરમાં જ એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે ૧૦૦ રૂપિયાની લાંચ લેવા બદલ એક વ્યક્તિને એક વર્ષની સજા કરવામાં આવી છે. એવા સમયે બે વ્યક્તિની હત્યા કરનાર સગીરને અકસ્માત પર નિબંધ લખવો, પોલીસ સાથે ૧૫ દિવસ કામ કરવું જેવી સામાન્ય શરતો પર જામીન મળી જતા લોકોએ દેશની અન્યાયી ન્યાય પ્રણાલી સામે પણ સવાલ ઊભા કર્યા હતા.
આ પણ વાંચો :-