જમ્મુ -કાશ્મીર સરકારે પહાલગામની બાસારોન ખીણમાં આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ડઝનેક રિસોર્ટ્સ અને અડધાથી વધુ પર્યટન સ્થળ બંધ કરી દીધા છે. શાંત ખીણો અને સુંદર પર્વતો માટે જાણીતા યુનિયન પ્રદેશમાં ઓછામાં ઓછા 48 રિસોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપટ્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા ઘણા પર્યટક સ્થળો પણ લોકો માટે બંધ કરવામાં આવ્યા છે.
સરકારની ઈન્ટેલિજન્સ એજન્સીને મળેલા ઈનપુટ્સ પરથી જાણવા મળ્યું છે કે 22 એપ્રિલના હુમલા બાદ પણ ફરી કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો થવાની પેરવીમાં અમુક ત્રાસવાદી ગ્રુપ છે. પાકિસ્તાનની (ISI)એ પણ સીઆઈડીના અધિકારીઓ, કાશ્મીરી પંડિતો પર હુમલો કરવાની તૈયારીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ હુમલાને વખોડી કાઢતાં લગભગ બે દાયકા બાદ કાશ્મીરીઓ રસ્તા પર ઉતર્યા હોવાનું મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું. તેમણે ગઈકાલે વિધાનસભામાં ખાસ નિવેદન આપ્યું હતું કે, કઠુઆથી માંડી કુપવાડા સુધી તમામ સ્થાનિકોએ આ આતંકવાદીઓ વિરૂદ્ધ દેખાવો કર્યા છે. તેઓ નિર્દોષ લોકોના નરસંહાર વિરૂદ્ધ એકઠા થયા છે. હુમલાખોરોને આકરી સજા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ આતંકવાદીઓને શોધી શોધીને મારવાનું પ્રણ લીધું છે. ભારત સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી આકરી કામગીરી હાથ ધરી છે.