Monday, Apr 13, 2026

નવસારીમાં 42 બેઠક બિનહરીફ, ગણદેવી પાલિકા પર લડ્યા વગર જ ભગવો લહેરાયો

2 Min Read

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસ માટે મોટો આંચકો સામે આવ્યો છે. પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ સમયસર રજૂ ન કરી શકવાને કારણે કુલ 32 બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. જેના કારણે આ બેઠકો પર ભાજપને સીધો ફાયદો થવાની પૂરી શક્યતા ઉભી થઈ છે.

ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ માટે સ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે. અહીં 6 વોર્ડની 24 બેઠકો માટે કોંગ્રેસે 18 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ મેન્ડેટ સમયમર્યાદા પૂરી થયા બાદ પહોંચતા ચૂંટણી અધિકારીએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે તમામ 18 ઉમેદવારોના ફોર્મ રદ થઈ ગયા છે અને કોંગ્રેસ અહીંથી ‘આઉટ’ થઈ ગઈ છે.

આ ભૂલનો અસર માત્ર નગરપાલિકા પૂરતો જ નહીં પરંતુ અન્ય સંસ્થાઓ પર પણ જોવા મળ્યો છે. ગણદેવી તાલુકા પંચાયતની 6 બેઠકો, નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો, નવસારી મહાનગરપાલિકાની 2 બેઠકો, જલાલપુર તાલુકા પંચાયતની 2 બેઠકો અને ચીખલી તાલુકા પંચાયતની 1 બેઠક કોંગ્રેસના હાથમાંથી નીકળી ગઈ છે.

કોંગ્રેસે આ નિર્ણયને લોકશાહી વિરુદ્ધ ગણાવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આક્ષેપ કર્યો છે કે તેમના પ્રતિનિધિઓ સમયસર હાજર હતા, છતાં રાજકીય દબાણ હેઠળ મેન્ડેટ સ્વીકારવામાં આવ્યું નથી. તેમણે આ મામલે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.

બીજી તરફ ભાજપે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢ્યા છે. ગણદેવી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રાણલાલ પટેલે જણાવ્યું કે કોંગ્રેસે સમયસર મેન્ડેટ રજૂ કર્યા નથી, તેથી નિયમ મુજબ ફોર્મ રદ થયા છે. તેમણે વધુમાં કહ્યું કે હવે અપક્ષ ઉમેદવારો પણ ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચી શકે છે.

હાલની સ્થિતિમાં ગણદેવી નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો અને થોડા અપક્ષો જ મેદાનમાં છે. જો અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ પાછા ખેંચે, તો ગણદેવી પાલિકા બિનહરીફ ‘સમરસ’ જાહેર થવાની શક્યતા છે, જે ભાજપ માટે મોટી રાજકીય જીત સાબિત થઈ શકે છે.

Share This Article