સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાડ આવાસ યોજનામાં મંગળવારે (11 માર્ચ) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવાસના બિલ્ડિંગ પાસે આવેલા રસ્તા પરથી એક શંકાસ્પદ કોથળામાંથી 57 વર્ષીય મહિલાનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા કરીને લાશ કોથળામાં ભરી ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ નિયમિત સફાઈ કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને રસ્તા પર પડેલો એક શંકાસ્પદ કોથળો દેખાયો, જેમાંથી દુર્ગંધ આવતી હોવાથી તેઓને શંકા લાગી. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કોથળામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ હમીદા ખાતુન (ઉંમર 57 વર્ષ), રહે. H-2 બિલ્ડિંગ, કોસાડ આવાસ, અમરોલી તરીકે થઈ છે. હમીદાબેન પોતાના બે દીકરાઓ સાથે રહેતા હતા અને ઘરકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ લાશ જે જગ્યાએથી મળી આવી છે તે મૃતકના નિવાસસ્થાનની નજીકનો જ વિસ્તાર છે. કોથળામાં ભરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાથી પોલીસે તેને હત્યાનો મામલો માની તપાસ શરૂ કરી છે. આશંકા છે કે અજાણ્યા શખ્સોએ મહિલાની હત્યા કરી પુરાવા નાશ કરવા માટે લાશને કોથળામાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી હશે. આ બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસે ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ અને FSLની ટીમને બોલાવીને વિગતવાર તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી લાશ ફેંકનાર લોકોની ઓળખ થઈ શકે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ અંગે DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોસાડ આવાસના H-2 બ્લોક પાસે કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળી હોવાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ અમરોલી પોલીસ, ઝોન-5ના અધિકારીઓ તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ છે.