Tuesday, Mar 10, 2026

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીએ કોર્ટમાં વર્ણવી જેગુઆર કાર સ્પીડની ભયાનકતા

2 Min Read

અમદાવાદ શહેરના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કરી નવ નિર્દોષોનો ભોગ લેનાર રફતાર રાક્ષસ તથ્ય સામે કેસ ચાલી રહ્યો છે. ત્યારે આ કેસમાં આજે ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જેમાં સાક્ષીઓએ કોર્ટ રૂબરૂ કાળઝાળ ઝડપે આવતી જેગુઆર કારની ભયાનકતા વર્ણવી હતી. ઉપરાંત ત્રણેય સાક્ષીઓએ જેલની વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર રહેલા તથ્યને ઓળખી બતાવ્યો હતો.

આ કેસમાં નારણભાઇ તેજુરામ ગુર્જર, સુરજભાઇ શાંતિલાલ મીણા અને અશ્વિની મોહનદાસની જુબાની મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ લીધી હતી. જેમાં સાક્ષીઓએ જણાવ્યું હતું કે, 20 જુલાઇ 2023ના રોજ રાત્રે ઇસ્કોન બ્રિજ પર અગાઉ એક થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત જોવા માટે ટોળું વળ્યું હતું અને પોલીસ કર્મીઓ પણ ત્યાં હાજર હતા. તે સમયે રાજપથ ક્લબ તરફથી અત્યંત ગતિએ આવતી એક જેગુઆર કાર (GJ-01-WK-0093)એ ટોળાને અડફેટે લીધું હતું. તે સમયે સાક્ષીઓ પોતાના મિત્રો સાથે તે સમયે ત્યાં હાજર હતા.

જેગુઆર કારની સ્પીડ એટલી વધારે હતી કે ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ગાડી કાબૂમાં આવી નહોતી. કારની ટક્કરથી ત્યાં ઉભેલા પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકો હવામાં ફંગોળાયા હતા અને રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ જેગુઆર કારમાંથી એક યુવક (તથ્ય પટેલ) અને તેની સાથે અન્ય યુવતીઓ નીચે ઉતરી હતી, જેઓ બાદમાં ત્યાંથી નીકળી ગયા હતા.

સાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક લોકોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Share This Article