Monday, Mar 30, 2026

1 એપ્રિલથી ચાઈનીઝ CCTV કેમેરા પર પ્રતિબંધ? સરકાર લઈ શકે મોટો નિર્ણય

3 Min Read

ભારતમાં સીસીટીવી કેમેરાના જોખમને પગલે સીસીટીવીની સિક્યુરિટી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં મોટાભાગે ચાઈનીઝ કેમેરા વેચવામાં આવી રહ્યા છે, જે લોકોની સિક્યુરિટી માટે ગંભીર ખતરો છે. એક રિપોર્ટ મુજબ, આગામી 1 એપ્રિલથી હિકવિઝન, દહુઆ અને TP-Link જેવી મોટી બ્રાન્ડના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. આ બાબતે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી હોવાનું સામે આવ્યું છે.

હિકવિઝન, દહુઆ અને TP-Linkએ ચાઈનીઝ કંપનીઓ છે. આમ, અયોગ્ય અને સર્ટિફિકેશન વગરના સીસીટીવી કેમેરાના ઉપયોગ અને ખરીદી પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. સિક્યુરિટીમાં યોગ્ય સાબિત ન થતાં સીસીટીવી કેમેરા પર આ નિર્ણયની અસર પડી શકશે.

દેશભરના અનેક રેલવે સ્ટેશનો પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફીડ્સ પાકિસ્તાન સુધી પહોંચી રહી હતી. આ ખુલાસા બાદ, સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તરત જ સરકારે એક આદેશ જારી કરીને સરકારી કચેરીઓને હવેથી ફક્ત એવા સીસીટીવી કેમેરા ખરીદવાનો આદેશ આપ્યો હતો જે સંપૂર્ણપણે સુરક્ષિત અને સર્ટિફાઈડ હોય.

સીસીટીવી કેમેરાથી વધી રહ્યું છે જોખમ
સરકારના આ નિર્ણયની સીધી અસર ચીનથી આવતા કેમેરા પર પડશે અથવા તો જેના સોફ્ટવેર વિદેશ કંપનીઓના છે. આજે મોટાભાગે સીસીટીવી કેમેરા ઈન્ટરનેટથી જોડવામાં આવે છે. એટલે માત્ર મોબાઈલ સાથે નહીં પરંતુ કંપનીના સર્વરથી પણ કનેક્ટ કરવામાં આવે છે. જો કેમેરાનું સોફ્ટરવેર કે સર્વર સિક્યોર નથી તો સીસીટીવીની વીડિયો ફીડ્સ અન્ય કોઈ પાસે પહોંચી શકે છે અને તેનો જે-તે વ્યક્તિને ખ્યાલ પણ હોતો નથી. જેને ધ્યાનમાં રાખીને સરકાર નવા નિયમો હેઠળ દરેક સીસીટીવી કેમેરાનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેટશન કરવાનું રહેશે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા સિક્યુરિટી સહિતની તપાસ કરાશે. આમ, સર્ટિફિકેશન વગરના કેમેરાને ભારતમાં હવે વેંચી શકાશે નહીં.

સરકારના આ નિર્ણયની અસર બજાર પર પણ પડશે. એવું માનવામાં આવે છે કે, સસ્તા કેમેરા હટવાથી કેમેરાની કિંમત વધી શકે છે. બીજી તરફ, ભારતીય કંપનીઓ હવે સુરક્ષિત અને ભરોસાપત્ર વિકલ્પની તપાસ કરતાં નવી તક મળશે. દેશભરમાં કરોડો સીસીટીવી કેમેરા પહેલાથી ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે. તેમાંથી અનેક કેમેરા એવા હશે કે જેમના પાસવર્ડ ક્યારેય બદલ્યા નહીં હોય અથવા સોફ્ટવેર અપડેટ કર્યું ન હોય. આ પ્રકારના સીસીટીવી કેમેરા સૌથી વધુ જોખમમાં છે.

નવા કેમેરા લગાવવા પર પ્રતિબંધ મૂકીને કે પ્રતિબંધ લગાવીને સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. આનો ઉકેલ લાવવા માટે સરકારે હાલના તમામ સીસીટીવી કેમેરાનું ઓડિટ કરાવવું જોઈએ. ખાસ કરીને જાહેર સ્થળોએ લગાવેલા કેમેરાનું. આનું કારણ એ છે કે, કટોકટીના સમયે આ કેમેરા હેક થઈ શકે છે અને વ્યક્તિઓને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તાજેતરના સંઘર્ષોમાં આપણે જોયું છે કે, ઈરાન અને ઇઝરાયલમાં સીસીટીવી કેમેરા હેક કરીને લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

યુદ્ધ કે સાયબર વૉરમાં સીસીટીવી કેમેરાનો દુશ્મન એક સોફ્ટ ટાર્ગેટ તરીકે ઉપયોગ કરી શકે છે. કારણ કે ભારતમાં સીસીટીવી કેમેરાની સિક્યુરિટીને લઈને કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યુ નથી.

Share This Article