ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે, ત્યારે હવે ભારતીય સેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે. ભારતીય સેનાને 30,000 કરોડ રૂપિયાની કિંમતની ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ (QRSAM) મળશે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલય દેશની પશ્ચિમ અને ઉત્તરીય સરહદો પર તૈનાત કરવા માટે QRSAM ની ત્રણ રેજિમેન્ટ ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન આકાશ તીર ડિફેન્સ સિસ્ટમ હીરો બની ગઈ
તમને જણાવી દઈએ કે 7 થી 10 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલી ચીની મિસાઇલો અને ઇઝરાયેલી ડ્રોન સિસ્ટમને આકાશ તીર મિસાઇલ સિસ્ટમ, S-400 સિસ્ટમ, આયર્ન ડ્રોન સિસ્ટમ દ્વારા આકાશમાં નાશ કરવામાં આવી હતી. આકાશ તીર એક સ્વદેશી કૃત્રિમ બુદ્ધિમત્તા-સંચાલિત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જેનું કામ નીચલા સ્તરના હવાઈ ક્ષેત્રનું નિરીક્ષણ કરવાનું અને જમીન પર તૈનાત હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીને નિયંત્રિત કરવાનું છે. હવે ભારતીય સેનાને ટૂંક સમયમાં 30 હજાર કરોડ રૂપિયાની QRSAM હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ મળવા જઈ રહી છે.
ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત જોવા મળી
22મી એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે છઠ્ઠી અને સાતમમી મેની રાત્રે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યાર બાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ તેમને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. ભારતીય સેનાની L-70 અને Zu-23 ગન, તેમજ વાયુસેનાની સ્પાઇડર અને S-400 સુદર્શન સિસ્ટમોએ મળીને આ હુમલાઓને અટકાવ્યા.