ભારત સરકારે સોમવારે તાત્કાલિક અસરથી IFS નિધિ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. કર્મચારી અને તાલીમ વિભાગના આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ તિવારીની નિમણૂકને મંજૂરી આપી હતી. IFS અધિકારી નિધિ તિવારી હાલમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, તેણી કો-ટર્મિનસ ધોરણે અથવા આગામી આદેશો સુધી, જે પણ વહેલું હોય ત્યાં સુધી પે મેટ્રિક્સના લેવલ 12 પર ખાનગી સચિવની ભૂમિકા નિભાવશે.
નિધિ તિવારી અગાઉ નવેમ્બર 2022 થી પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) માં ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ પહેલા, તેમણે વિદેશ મંત્રાલયના નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે નિધિ તિવારી વર્ષ 2014 બેચની IFS અધિકારી છે. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે વિદેશ મંત્રાલયના ઘણા મહત્વપૂર્ણ વિભાગોમાં કામ કર્યું છે. તેમની વહીવટી ક્ષમતા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને, તેમને પ્રધાનમંત્રીના ખાનગી સચિવના પદ પર બઢતી આપવામાં આવી છે.
કોણ છે નિધિ તિવારી?
૨૦૧૪ બેચની ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી નિધિ તિવારી, ૨૦૨૨ માં અંડર સેક્રેટરી તરીકે જોડાયા બાદ ૬ જાન્યુઆરી, ૨૦૨૩ થી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં નાયબ સચિવ તરીકે સેવા આપી રહી છે. તિવારી વારાણસીના મહમૂરગંજના છે, જે ૨૦૧૪ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લોકસભા મતવિસ્તાર છે. તેમણે ૨૦૧૩ માં સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ૯૬મો ક્રમ મેળવ્યો હતો. UPSC પાસ કરતા પહેલા, તેમણે પરીક્ષાની તૈયારી કરતી વખતે વારાણસીમાં સહાયક કમિશનર (વાણિજ્યિક કર) તરીકે કામ કર્યું હતું.