NCERT માં શાળાના બાળકોને ભણાવવામાં આવતા ઐતિહાસિક અભ્યાસક્રમ પર બોલીવુડ અભિનેતા આર. માધવને પ્રશ્નો ઉઠાવ્યા છે. ધોરણ 7 ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનત પરના વિભાગો દૂર કરવાના કથિત નિર્ણય પર ચાલી રહેલી ચર્ચામાં જોડાતા, અભિનેતાએ પૂછ્યું કે પહેલાના ઇતિહાસના અભ્યાસક્રમમાં હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો પૂરતો સમાવેશ કેમ ન કરવામાં આવ્યો? મુઘલો પર 8 પ્રકરણો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચોલ સામ્રાજ્યના વારસાને ફક્ત એક જ પ્રકરણમાં કેમ આવરી લેવામાં આવ્યો છે?
આ ટિપ્પણી તેમણે ત્યારે કરી છે જ્યારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ સાતની ઇતિહાસની પુસ્તિકામાંથી દિલ્હી સલ્તનતમાં શાસન કરનાર મુઘલ સામ્રાજ્યના મોટા વિભાગો હટાવી દીધા છે. તેમાં મમલૂક, તુગલક, ખિલજી અને લોધી જેવા વંશો સામેલ હતા. આ દૂર કરવામાં આવેલા વિભાગો સાથે જ આધુનિક ભારતનાં સામાજિક આંદોલનો અને જાતિવ્યવસ્થાને લગતા અંશો પણ હટાવવામાં આવ્યા છે. હવે નવા પાઠમાં નવી વિગતોમાં મેક ઈન ઈન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, તથા ચારધામ યાત્રા, શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ જેવી યાત્રાઓ દ્વારા ધરતીની પવિત્રતાની વાતો ઉમેરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે જ્યારે મેં શાળામાં ઇતિહાસ ભણ્યો હતો, ત્યારે મુઘલ ઈતિહાસ પર આઠ અધ્યાય હતા, હડપ્પા અને મોહેંજો-દડો પર બે અધ્યાય, બ્રિટિશ શાસન અને સ્વતંત્રતા આંદોલન પર ચાર અધ્યાય, અને દક્ષિણના રાજવંશો – ચૌલ, પાંડ્ય, પલ્લવ અને ચેર પર ફક્ત એક અધ્યાય હતો. તેમણે દરેક યુગની ટાઇમલાઇનની તુલના પણ કરી.
આર. માધવનએ દાવો કર્યો કે, “બ્રિટિશ અને મુઘલોએ લગભગ 800 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું, જ્યારે ચૌલ સામ્રાજ્ય 2400 વર્ષ જૂનું છે.” ચૌલોએ 7મી સદીથી 13મી સદી સુધી, લગભગ 500 વર્ષ શાસન કર્યું. બ્રિટિશોએ લગભગ 200 વર્ષ અને મુઘલોએ લગભગ 300 વર્ષ ભારત પર શાસન કર્યું. તેમણે કહ્યું હતું કે ભલે તમિળ વિશ્વની સૌથી જૂની ભાષા છે, પણ કોઈ તેને ઓળખતું નથી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે સિલેબસ કોણ નક્કી કરે છે? આપણા સંસ્કૃતિમાં રહેલા વૈજ્ઞાનિક જ્ઞાનની આજે મજાક ઉડાવવામાં આવે છે.”