સુપ્રીમ કોર્ટ આજે કથિત દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલની ૨૧ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેંચ તેમના વચગાળાના જામીનના કેસની સુનાવણી કરશે. ઈડીએ ગુરુવારે અરવિંદ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને નવું સોગંદનામું દાખલ કર્યું હતું.
EDએ કેજરીવાલની ૨૧ માર્ચે લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી હતી. EDએ તેમને ૨૨ માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે દિલ્હીના સીએમને ૨૮ માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા, જે બાદમાં ૧ એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. ૧ એપ્રિલે કોર્ટે તેમને ૧૫ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યા હતા.
ઈડીએ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો સખત વિરોધ કર્યો છે. તપાસ એજન્સીએ કહ્યું કે, ચૂંટણી લડવા માટે પણ વચગાળાના જામીન આપી શકાય નહીં. ED અનુસાર, કોઈપણ રાજનેતા સામાન્ય માણસ કરતાં વધુ અધિકારો મેળવી શકતા નથી. ઘણા નેતાઓ PMLએ હેઠળ જેલમાં છે, જો અરવિંદ કેજરીવાલને આ રીતે જામીન આપવામાં આવશે, તો તે બધા પણ આ જ કારણસર વચગાળાના જામીન માંગવા લાગશે. આજ સુધી કોઈ રાજકારણીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મળ્યા નથી. ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવાથી એક દાખલો બેસશે જેના હેઠળ રાજકારણીઓ ગુના કરશે અને ચૂંટણીની આડમાં તપાસથી બચવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો :-