Thursday, Feb 26, 2026

સુરતના લસકાણામાં જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી, એકનુ મોત, એકને ઈજા

1 Min Read

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં વર્ષો જૂના જર્જરિત મકાનનો છજ્જો તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક દીવાલ અને છજ્જો ધરાશાયી થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ મકાન ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતું અને તેમાં રહેવું જોખમી બની ગયું હતું.

દુર્ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર અને ઇમરજન્સી સેવા તેમજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આસપાસના વિસ્તારમાં ભીડ ઉમટી પડી હતી.

ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ જાગેલા તંત્રએ આસપાસના અન્ય ભયજનક અને જર્જરિત છજ્જાઓને તોડી પાડવાની કામગીરી તાબડતોબ શરૂ કરી દીધી છે.

આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે કે, ભાડાની લાલચમાં મજબૂતી વગર ઉભા કરી દેવાયેલા આ મકાનો સામે અત્યાર સુધી કેમ કોઈ પગલાં ન લેવાયા? શું દર વખતે કોઈનો જીવ જાય પછી જ પાલિકાના અધિકારીઓની આંખ ખુલશે. લસકાણા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ અનેક આવા જર્જરિત મકાનો ઉભા છે, જેમાં સેંકડો શ્રમિકો જીવના જોખમે રહે છે.

Share This Article