અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટના વહેલી સવારે અંદાજે સાડાપાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે, જેમાં હજારો લોકોની અવરજવર હોય એવી જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી. આ સમયે એક મુસાફરે આ સમગ્ર દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો દ્વારા બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ અને ફ્લાઈટમાં બેસવા જતી વખતે નમાઝ પઢવામાં આવી હતી. મહત્ત્વનું છે કે આ પહેલાં પણ અમદાવાદમાં સહિત અને જિલ્લામાં જાહેર બાગ-બગીચા કે એસટી સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એરપોર્ટ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ, એક મુસાફરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આજે સવારે એટલે કે, 10 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ હોવાથી 5:30 વાગ્યે એરપોર્ટ પર આવ્યો. સિક્યુરિટી ચેક પતાવીને જ્યારે હું ટર્મિનલ-1ના ફર્સ્ટ ફ્લોર પર આવ્યો, ત્યારે મેં અમુક ડિસ્ટર્બિંગ ઘટના જોઈ. કોઈ ગ્રુપ ત્યાં નમાઝ અદા કરી રહ્યું હતું. એ જોઈને તુરંત જ હું શોક થઈ ગયો અને મેં ત્યાં ઊભા રહીને વીડિયો શૂટ કરી લીધો.
આ અંગે એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પેસેન્જર્સ મૂવમેન્ટ સ્મૂથ જ હતી. કોઈ પેસેન્જર્સને કોઈ પણ પ્રકારની તકલીફ પડી ન હતી. તેમની પાસે કોઈ પેસેન્જરની ફરિયાદ આવી નથી.
CISFની ટીમમાં આ અંગે વાત કરી હતી તો CISFનું પણ એવું કહેવું હતું કે અમારી પાસે કોઈ પેસેન્જર ફરિયાદ લઈને આવ્યું નથી. એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ એક આખો સમૂહ નમાઝ પઢતો હોવાનું નજરે પડી રહ્યો છે. આ મામલે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો હજુ સામે આવી નથી.
એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, T1 એટલે કે ટર્મિનલ 1માં પ્રેયર રૂમ નથી. કેમકે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. T2 પર પ્રેયર રૂમ છે કારણકે 99 ટકા ફ્લાઇટ ત્યાંથી ઓપરેટ થતી હોય છે. જેદ્દાહ જેવી જગ્યા પર જવા માટેની 99% ફ્લાઇટ T2 પરથી ઓપરેટ થાય છે. અને T2 પર તો લોકો રેગ્યુલર્લી આ પ્રેયર રૂમનો ઉપયોગ કરતા હોય છે. કેમકે ત્યાંથી લોકો વધુ જેદ્દાહ અને એ તરફ ટ્રાવેલ કરતા હોય છે. હજયાત્રીઓ પણ ત્યાંથી જ પ્રેયર કરતા હોય છે. અને જ્યારે આ લોકો પ્રેયર કરી રહ્યા હતા ત્યારે અમારા કોઈ કર્મચારીએ જઈને તેઓને ડિસ્ટર્બ કર્યું ન હતું. કેમકે તેમની પ્રેયર ચાલુ થઈ ગઈ હતી.