દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકવાદી અદનાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં રામમંદિર સહિત અનેક ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળો પર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તેમજ આ અંગે યુપી ATSના અધિકારીઓ તેની પૂછપરછ કરીને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુપી એટીએસે ગત વર્ષે અદનાનની હાઇકોર્ટના જજને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી હતી. જોકે લગભગ 5 મહિના પછી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
ભોપાલથી ફરી ધરપકડ કરવામાં આવી
જોકે, તેની બાદ તે ભોપાલ ગયો હતો અને જેહાદી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેની નોંધ લેવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી. આ માહિતી મળતાં જ શનિવારે યુપી એટીએસની એક ટીમ તાત્કાલિક દિલ્હી રવાના કરવામાં આવી હતી અને અદનાનની પૂછપરછ શરુ કરવામાં આવી છે.
ષડયંત્ર અંગે સતત પૂછપરછ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ ઉપરાંત એટીએસ અધિકારીઓ ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની તેના ષડયંત્ર અંગે સતત પૂછપરછ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે તે મુસ્લિમોના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવા અંગે ખૂબ ગુસ્સે છે. તેમજ તે કેટલી વાર ઉત્તર પ્રદેશ ગયો અને કયા શહેરોની મુલાકાત લીધી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પીએમ મોદીની મુલાકાત પૂર્વે એટીએસ સતર્ક
આ ઉપરાંત સીરિયામાં બેઠેલા ખલીફા દ્વારા તેને મોકલવામાં આવેલા અનેક વીડિયોમાં રામ મંદિર સહિત ઉત્તર પ્રદેશના અનેક ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ થવાથી તપાસ એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 21 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યા આવી રહ્યા છે. આ કારણોસર, યુપી એટીએસ ખાસ સાવચેતી રાખી રહી છે અને તેના ષડયંત્રને જાણવાનો પ્રયાસ કરી રહી છે.