ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે શનિવારે સાબરકાંઠા, જૂનાગઢ, અરવલ્લી, રાજકોટ સહિતના વિસ્તારોમાં માવઠુ થયુ હતુ. જ્યારે હવામાન વિભાગે આગામી 13 મે, 2025 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં 9 મેના 6 વાગ્યાથી 10 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 73 તાલુકામાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 13 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
આગામી 14 મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.