રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાંની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાંની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય બનતાં વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
આજે, એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા- સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. પવન આશરે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યાર બાદ 19થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. તાપમાનમાં મહત્તમ તાપમાન આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યાર બાદ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. લઘુતમ તાપમાન આગામી 3 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદર ખાતે 15 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 19.4, ભાવનગરમાં 19, ભુજમાં 17.2, દમણમાં 19, ડીસામાં 17.3, દીવમાં 15.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 18, નલિયામાં 15.5, ઓખામાં 19.8, પોરબંદરમાં 15, રાજકોટમાં 15.2, સુરતમાં 19.2 અને વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.