નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં બે યુવકો રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઇન ક્રોસ કરતા દુર્ઘટના બની હતી. અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસના ચાલકે મૃતદેહ જોતા નવસારી રેલવે સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની જાણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી સિવિલ હોસ્પિટલ પર મોટી સંખ્યામાં બનાસકાંઠા ખાતે રહેતા સમાજના અગ્રણીઓ ભેગા થયા છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવકોના મૃતદેહને એમના વતન મોકલવામાં આવશે.