રાજકીય અને વહિવટકુશળ ભૂપેન્દ્ર પટેલમાં લોકકલ્યાણના કામો કરવાની ભારોભાર ક્ષમતા છે, પરંતુ સવાલ છે સરકાર ચલાવવા માટે મોકળાશ આપવાનો
વિતેલા બે વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સામે વ્યક્તિગત કે સરકાર સામે એક પણ આંગળી ચિંધાઇ નથી બલ્કે ક્રમશઃ ભૂપેન્દ્ર પટેલમાં લોકો પોતીકાપણાની લાગણી અનુભવી રહ્યા છે
વિતેલા વર્ષોમાં સરકારની અનેક યોજનાઓ રજુ કરવામા આવી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, ખેતી, ખેડૂત મહિલાઓ અને નવા રોકાણકારો માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે દેશભરમાં અવલ્લ નંબર હાંસલ કર્યો
કાયદો, વ્યવસ્થાની જાળવણીમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઇ કમી છોડી નથી, ગુનેગાર માફિયાઓને રાજકીય ઓથ હોય તો પણ માફ કર્યા નથી અને એટલે જ ગુજરાત સાર્વત્રિક ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે

મૃદુ અને સાવ નિખાલસ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગુરૂવાર તા.૧૨મીના રોજ સરકારના બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે. વિતેલા વર્ષોમા ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતની પ્રજા માટે ઘણું ઘણું કર્યું છે. શિક્ષણ, મહેસુલ, વેપાર, ઉદ્યોગક્ષેત્રે ઘણા સકારાત્મક નિર્ણયો લીધા છે. આ ઉપરાંત લાંબાગાળાના ઘણા આયોજનો કર્યા છે. પરંતુ સરકારની લોકકલ્યાણની કરેલી કામગીરીનો લોકોને અહેસાસ કરાવવામાં ક્યાંક ‘દાદા’ ઊંણા ઉતર્યા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાત માળખાગત સુવિધાઓ સાકાર કરવામાં કદાચ દેશમા પ્રથમક્રમે હશે. પરંતુ પ્રજાને આ વાતની અનુભૂતી થઇ રહી નથી. અન્ય રાજ્યોમાંથી આવતા લોકો ગુજરાતનો માળખાગત વિકાસ જોઇને અભિભૂત થઇ જાય છે. અને એટલે જ અન્ય રાજ્યોના ઉદ્યોગકારો ગુજરાતમા ઉદ્યોગ સાહસો શરૂ કરવા પર પ્રાધાન્ય આપી રહ્યા છે. પરંતુ કમનસીબે ગુજરાત સરકારનુ વહિવટી માળખુ ‘ઉદ્યોગ ફ્રેન્ડલી’ નથી. કામકાજ માટે સચિવાલયમાં સમયસર નિર્ણય લેવામાં ક્યાંકને ક્યાંક અડચણો ઉભી થાય છે અને ફાઇલો દિવસો, મહિનાઓ સુધી અટવાતી રહે છે. બલ્કે એવું કહી શકાય કે ચોક્કસ સમયમર્યાદામાં વહિવટીતંત્ર નિર્ણય લેતુ નથી. જ્યાં સુધી કોઇ રાજકીય ભલામણ કરવામાં આવે નહીં ત્યાં સુધી ફાઇલ ખુલતી જ નથી.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગલ વિન્ડો અને ફેસલેસ પધ્ધતિ શરૂ કરાવી હતી પરંતુ વર્તમાન હાલત એવી છે કે કેટલી વિન્ડો હશે તેનો અંદાજ નથી ‘ફેસલેસ’ની આખી વાત જ દફન થઇ ગઇ છે. બલ્કે એવું કહી શકાય કે ‘ફેસ’ વગર કામ થતુ નથી. વળી ભ્રષ્ટાચારની કોઇ જ મર્યાદા નથી. હજુ બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ACBના અધિકારીઓ સાથેની બેઠકમા ભ્રષ્ટાચારીઓ સામે તૂટી પડવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. પરંતુ કહેવાની જરૂર નથી કે વહેવાર કરો નહીં ત્યાં સુધી કોઇ કામ આગળ વધતુ નથી. વળી આ સમસ્યાઓનો નજીકમા ઉકેલ આવે એવું લાગતો નથી કારણ મોટાભાગના સરકારી અધિકારીઓ ‘નિર્ભય’ બની ગયા છે. પરિણામે ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરીનો લોકોને અહેસાસ થતો નથી.
ભૂપેન્દ્ર પટેલ એક સજ્જન અને નિર્મળ વ્યક્તિત્વ છે. સરકારી વહિવટી કામગીરીના અનુભવી છે. નજીકના ભૂતકાળમા અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ડેવલપમેન્ટ ઓથોરીટી ‘ઔડા’ ના ચેરમેન તરીકે કામ કરી ચૂક્યા છે. મતલબ સરકાર ચલાવવા માટે ટ્રેનિંગ કે સલાહની જરૂર નથી. ખંધા અધિકારીઓને સારી રીતે ઓળખી શકે છે. પરંતુ કોઇક કારણોસર ભૂપેન્દ્ર ‘દાદા’ સરકારી બાબુઓ ઉપર લગામ રાખી શકતા નથી.
આ ઉપરાંત કોઇ માને કે નહી માને એક વાત સ્વીકારવી જ પડે કે ભૂપેન્દ્ર પટેલને સરકાર ચલાવવા માટે જોઇએ તેટલો ‘ફ્રિ હેન્ડ’ નથી. કોઇને કોઇ અંકુશ તેમના માથા ઉપર મુકવામાં આવી રહ્યું છે. મતલબ તેઓ પોતાની સ્વતંત્ર રીતે સરકાર ચલાવી શકતા નથી. પોતાના વિચારો, આઇડીયાઝ વહિવટમાં પ્રતિબિંબીત થતા નથી. લાંબી રાજકીય કારકીર્દી અને લાંબો જાહેરક્ષેત્રનો અનુભવ હોવા છતાં પેલા ‘અંકુશ’ને કારણે‘દાદા’ કામ કરી શકતા નથી.
વિધાનસભામાં વિપક્ષની ગેરહાજરી અને પોતીકા સભ્યોના મજબૂત સંખ્યાબળને કારણે સરકાર દોડતી રહે એ સ્વભાવિક છે. વળી ગુજરાતના લોકોમાં જ્યાં સુધી ‘ભાજપ’ જીવે છે ત્યાં સુધી સાવ નબળો માણસ પણ સરકાર ચલાવી શકશે. પરંતુ બદલાતો સમય, સંજોગો અને ઉગતી નવી પેઢીની અપેક્ષાઓ સમજીને સરકાર નહીં ચલાવવામાં આવે તો આવનારા વર્ષોમાં લોકમાનસમાં ભાજપની ‘જડ’ નબળી પડતી જશે. ભૂતકાળમાં આવા જ કારણોને લઇને દેશભરમાં શાસન ચલાવતી કોંગ્રેસના મધ્યાહને અંતની શરૂઆત થઇ હતી અને આવનારા દિવસોમાં પતનનો દોર ચાલુ રહેશે તો એક દિવસ કોંગ્રેસ ભારતની રાજકીય ભૂમિમાંથી નામશેષ થઇ જશે.
સમગ્ર દેશમા માત્ર બે સીટ ધરાવતી ભારતીય જનતાપાર્ટી એક દિવસ સમગ્ર દેશમાં વર્ચસ્વ અને સત્તા ધરાવતી હશે એવી કોઇએ કલ્પના પણ કરી નહીં હોય પરંતુ જ્યારે સત્તાના નશામાં ડૂબી જવાનો ક્રમ શરૂ થાય છે, ત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. સિરિયામા ૫૦ વર્ષથી એક હથ્થુ શાસન ચલાવતી સરકારે દેશ છોડીને ભાગવું પડ્યું આ પણ એક ઇતિહાસની ઘટના છે.
ખેર, ભૂપેન્દ્ર પટેલ બધી જ રીતે સક્ષમ છે જ એમા કોઇ જ શંકાને સ્થાન નથી. વળી માત્ર સક્ષમ નહી એટલા જ લોકપ્રિય છે. લોકોની વચ્ચે જ્યારે જાય છે. ત્યારે લોકોને પોતીકાપણાની અનુભૂતિ પણ કરાવે છે. લોકોને ‘‘ભૂપેન્દ્રભાઇની’ સાથે વાતો કરવાનુ ગમે છે અને ભૂપેન્દ્ર પટેલનો વહેવાર લોકોને ગમે તેવો હોય છે, મતલબ વધુને વધુ લોકો ઇચ્છે છે કે ભૂપેન્દ્ર પટેલ તેમને મળતા રહે.
આ પોતીકાપણાને કારણે લોકોની અપેક્ષાઓમાં વધારો થાય એ પણ સ્વભાવિક છે. પરંતુ એક હકીકત એ પણ છે કે પક્ષની ઉપલી નેતાગીરીના ‘અંકુશ’ને કારણે ભૂપેન્દ્ર પટેલ સક્ષમ હોવા છતાં લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં ‘સબળ’ હોવાની અનુભૂતી કરાવી શકતા નથી.
બાકી સરકારી એજન્ડા પ્રમાણેની કામગીરી ચાલતી રહે છે.
રાજ્યના માર્ગો, શાળાઓ, બ્રિજીસ સહિત માળખાગત સુવિધાઓની કામગીરી સતત ચાલતી રહે છે. પરંતુ ભૌતિક સુવિધાની સાથે માનવીય અપેક્ષાઓ કોઇક કારણોસર સંતોષાતી નથી. સિવાય કે ‘દાદા’ની કમર ઉપર મુકવામાં આવેલું ‘અંકુશ’ દૂર કરવામાં આવે. કોઇપણ રાજકીયપક્ષનો સર્વોચ્ચ વડો હંમેશા એવી જ અપેક્ષા રાખે કે સરકારમાં મારૂ જ ‘વર્ચસ્વ’ હોવું જોઇએ પરંતુ આ પોતાનુ પ્રભુત્વ પ્રસ્થાપિત કરવાની ઘેલછામાં લાંબેગાળે પોતાના જ પગમા કુહાડો મારવા જેવી હાલત થઇ શકે, પરંતુ આ સનાતન સત્ય કોણ સમજાવી શકે?
સમગ્ર દેશમાં ગુજરાતની પ્રજાએ જ ભાજપને સૌપ્રથમ સત્તાનુ સિંહાસન સોંપ્યુ હતું અને આજના તબક્કે પણ ગુજરાતની પ્રજા અડીખમ રીતે ભાજપની પડખે ઉભી છે. ત્યારે પ્રજાની પણ અપેક્ષાઓ હોય, લાગણીઓ પણ હોય અને પ્રજાભિમુખ સરકારએને જ કહેવાય જે પ્રજાની લાગણીને સમજી શકે.
ગુજરાતમા નરેન્દ્ર મોદીની સરકાર પછીની ભાજપનો એક પણ મુખ્યમંત્રી સળંગ પાંચ વર્ષ સરકાર ચલાવી શક્યો નથી. મતલબ આનંદીબેન, વિજય રૂપાણી સક્ષમ નહોતા એવું નથી પરંતુ ભાજપના પોતીકા મુખ્યમંત્રીને ઉથલાવવા ભાજપના જ લોકો ખેલ પાડી ગયા હતા.
આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરખામણીએ ભૂપેન્દ્ર પટેલ સાવ સરળ અને નિર્લેપ વ્યક્તિત્વ છે. દાદા ભગવાનની વિચારધારામા માનતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની ખુરસીનો કોઇ જ નશો નથી
સદનસીબે ગુજરાતને એક સજ્જન મુખ્યમંત્રી મળ્યા છે અને વહિવટ કુશળ પણ છે, અને એટલે જ કોઇ વિવાદ વગર તેઓએ ત્રણ વર્ષ પુરા કરી નાંખ્યા. તેમના મંત્રીમંડળમાં અને સરકારમાં ઘણા એવા પણ ચહેરા છે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને સ્વીકારતા અચકાય છે. આ બધુ જાણતા હોવા છતાં ભૂપેન્દ્ર દાદા કોઇપણ પ્રકારનો રંજ રાખ્યા વગર સરકાર ચલાવી રહ્યા છે. તેઓ માને છે કે મુખ્યમંત્રીની ખુરસી અને સત્તા કાયમી નથી અને એટલે જ તેઓ સામાન્ય લોકો સાથે જમીન ઉપર બેસીને વાત કરવામાં જરા પણ હિચકાટ અનુભવતા નથી, બલ્કે તેઓને શેરી અને છેવાડાના માણસ સાથે બેસવાનુ, વાતો કરવાનું ગમે છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પુરા થઇ ગયા તેમના અત્યાર સુધીના શાસનકાળ દરમિયાન કોઇ કુદરતી ગંભીર હોનારત સર્જાવા પામી નથી અને જ્યાં માનવ સર્જિત હોનારત થવા પામી છે ત્યાં તેમણે કોઇને માફ પણ કર્યા નથી.
વિતેલા બે વર્ષ દરમિયાન અનેક નવી પોલીસી અને યોજનાઓ જાહેર કરવામાં આવી. ગુજરાતમાં નવા રોકાણો આવ્યા, ગરીબો, વંચિતો આદિવાસી અને શ્રમિકો માટે ઘણું ઘણું કર્યુ. યુવાનો માટે વિકાસના અને શિક્ષણના નવા માર્ગો ખોલ્યા, ખેડૂતોને વ્યાજ વગરનુ ધિરાણ આપવા સહિત ખેત ઉત્પાદન વધે એવા પ્રયાસો પણ કર્યા, મહિલાઓના વિકાસ માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ રજુ કરવામાં આવી.
ઉદ્યોગોના વિકાસ માટે નવા નવા માર્ગો ખોલવામાં આવ્યા, જ્યારે વીજળીના ઉત્પાદનમાં પણ ગુજરાતને મોખરાનુ સ્થાન અપાવ્યું. દરિયાઇ માર્ગોનો વિકાસ, પ્રવાસન અને યાત્રાધામોના વિકાસને પણ નવી દિશા આપી જાહેર જનતાના રક્ષણ માટે પોલીસદળની કામગીરીમા મહત્વનો બદલાવ લાવવા ઉપરાંત, ગુનેગારોમાં પણ કાયદો અને વ્યવસ્થાનો ભય ઉભો કરવા ચોક્કસ દિશામાં નિર્ણય અને પગલા પણ ભર્યા.
આ ઉપરાંત ભૂપેન્દ્ર દાદાની સરકાર હજુ પણ કંઇક નવું કરવાનો થનગનાટ કરી રહી છે. લોકોની નાડ અને જરૂરિયાત પારખતા ભૂપેન્દ્ર પટેલની સરકાર આવનારા દિવસોમાં ઘણું ઘણું કરવા સાથે લોકોમાં પણ ભાજપની ‘જડ’ વધુ મજબૂત બનાવવાની પુરેપુરી ક્ષમતા ધરાવે છે.
ભૂપેન્દ્ર પટેલના વિચારોને મોકળાશ મળશે તો ચોક્કસ ગુજરાતનો વિકાસ અને લોકોની સુખાકારી દેશભરમાં મોખરે હશે.