કાશ્મીર ખીણમાં ટ્રેન દ્વારા પહોંચવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. રવિવારે સાંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી હતી. પ્રથમ વખત, કોઈ ટ્રેન ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ દ્વારા રિયાસી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ પુલની ઉંચાઈ ૩૫૯ મીટર છે, જે એફિલ ટાવર કરતા પણ ૩૫ મીટર વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ૨૧મી જૂને શ્રીનગર પહોંચવાના છે. આ પહેલા જ રેલવેએ આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર ૩૫૯ મીટર (લગભગ ૧૦૯ ફૂટ) ની ઊંચાઈએ બનેલો ચેનાબ રેલ બ્રિજ એફિલ ટાવર કરતા લગભગ ૩૫ મીટર ઊંચો છે. આ પુલ અદભૂત સ્ટીલ કમાન ડિઝાઇન ધરાવે છે, જેની કુલ લંબાઈ ૧,૩૧૫ મીટર (૪,૩૧૪ ફૂટ) છે. આ કમાનની લંબાઈ ૪૬૭ મીટર (૧,૫૩૨ ફૂટ) છે. તે સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન છે, જે કાશ્મીર ખીણને બાકીના ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડે છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ સફળતા વિશે માહિતી આપી હતી. પોસ્ટમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, ‘પ્રથમ ટ્રાયલ ટ્રેન સાંગલદાનથી રિયાસી સુધી દોડી છે. આ ટ્રેન ચેનાબ બ્રિજ પાર કરીને રિયાસી પહોંચી હતી. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ટનલ નંબર ૧ પર થોડું જ કામ બાકી છે.’ રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાના અંતમાં સાંગલદાન-રિયાસી સેક્શનમાં બે દિવસ તપાસ કરવામાં આવશે.
યુએસબીઆરએલ પ્રોજેક્ટના બનિહાલથી સાંગલદાન સેક્શનના ૪૮.૧ કિલોમીટરના સેક્શનનું ૨૦ ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ચેનાબ રેલવે બ્રિજ તેના માર્ગ પર આવે છે, જે વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ છે. આ પુલ સ્ટીલની કમાનથી બનેલો છે. આ પુલ ૧.૩ કિલોમીટર લાંબો છે. આ રૂટ પર ઈલેક્ટ્રિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રૂટ પર ૩૦ જૂને ટ્રેનો ચાલી શકશે. ઉધમપુરના સાંસદ અને ભાજપના મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ પુલ પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે. આ રેલ લિંક પ્રોજેક્ટનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચો :-