સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક આંતરધર્મીય પ્રેમલગ્નનો ખૂબ જ કરુણ અંજામ આવ્યો છે. માત્ર 2 વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કરીને સંસાર માંડનાર પૂજાને તેના જ પતિ સરફરાઝે આડાસંબંધના વહેમમાં મોતને ઘાટ ઉતારી દીધી છે. બંને વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સરફરાઝે પૂજાની છાતીમાં ચપ્પુના ઘા ઝીંકીને તેની ઘાતકી હત્યા કરી નાખી.
મળતી માહિતી મુજબ, પૂજા અને સરફરાઝે 2 વર્ષ પહેલાં બિહારમાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ 4 મહિના પહેલાં જ સુરતના ભટાર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા. પૂજા ‘પ્રેમ’ નામનો એક માનેલો ભાઈ ધરાવતી હતી અને તેની સાથે અવારનવાર વાતચીત કરતી હતી. જોકે, સરફરાઝને આ વાત ગમતી નહોતી અને તેને પૂજાના ચારિત્ર્ય પર શંકા જવા લાગી હતી. સરફરાઝને વહેમ હતો કે તેની પત્નીને કોઈની સાથે આડાસંબંધ છે. આ જ શંકાના કીડાના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડાઓ થતા રહેતા હતા.
આ રોજબરોજના ઝઘડાઓનો અંત છેવટે હત્યામાં પરિણમ્યો. મોરાભાગલ સ્થિત બોટનિકલ ગાર્ડન નજીકના વોકવે પાસે સરફરાઝ અને પૂજા વચ્ચે ફરીથી કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સામાં આવીને સરફરાઝે પોતાની જ પત્ની પૂજાની છાતીના ભાગે નિર્દયતાથી ચપ્પુનો ઘા મારી દીધો હતો.
લોહીલુહાણ અને ગંભીર હાલતમાં પૂજાને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ખૂની ખેલની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પત્નીની હત્યા કરીને ભાગી છૂટેલા આરોપી પતિ સરફરાઝને પકડી પાડવા માટે પોલીસે સઘન તપાસ આરંભી દીધી છે.