સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં બેનાં કરુણ મોત, એકનો આબાદ બચાવ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક બાળક કૃણાલના ફઈએ આઘાતમાં પોતાના માથામાં ઈજા પહોંચાડી હતી.
ત્રણેય બાળક સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં રહેતાં હતાં. ડેમમાં નાહવા પડેલાં બાળકોમાંથી 14 વર્ષીય કૃણાલ અશ્વિનભાઈ સોલંકી અને 10 વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી ડૂબી ગયાં હતાં. 13 વર્ષીય મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે.
સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમની કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૂબેલાં બે બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
મૃતકોની ઓળખ
- કૃણાલ અશ્વિનભાઈ સોલંકી (ઉં.વ. 14)
- મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉં.વ. 10)
આબાદ બચાવ
- મોહિત મનીષભાઈ સોલંકી (ઉં.વ.13)નો આબાદ બચાવ થયો છે.