હિમાચલ પ્રદેશના ચંબામાં શ્રી રામલીલા ચાલી રહી હતી ત્યારે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. રામલીલા વખતે રાજા દશરથના અભિનય કરનાર કલાકાર અચાનક ઢળી પડ્યા હતા. કલાકારની ઓળખ અમરેશ મહાજન (73 વર્ષ) તરીકે કરવામાં આવી છે, જેઓ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. જોકે, ડાયલોગ બોલતી વખતે અચાનક સિંહાસન પરથી ઢળી પડ્યા અને તેમનું નિધન થયું હતું. આ ઘટનાએ ચંબાના ઐતિહાસિક ચૌગાનમાં ચાલતી રામલીલાની પરંપરાને શોકમગ્ન કરી દીધું, જ્યાંના દરેક રહેવાસીઓએ કલાકારના યોગદાનને બિરદાવ્યું હતું.
રામલીલા વખતે અચાનક ઢળી પડ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મંગળવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે શ્રી રામલીલાના બીજા દિવસે રાજા દશરથના દરબારનું દૃશ્ય ભજવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અમરેશ મહાજન, જેઓ દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા. ઢળી પડ્યા બાદ સાથી કલાકારોએ તેને તાત્કાલિક પંડિત જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ડોક્ટરોએ જણાવ્યું કે તેમનું નિધન હૃદયની ગતિ બંધ થવાને કારણે થયું.
અમરેશ મહાજનનું યોગદાન અનન્ય રહ્યું
અમરેશ મહાજન, જેઓ શિબુ તરીકે ઓળખાતા હતા, છેલ્લા 40 વર્ષથી ચંબાના ચૌગાનમાં યોજાતી રામલીલામાં સક્રિય હતા. તેઓ દશરથ અને રાવણની ભૂમિકાઓ માટે જાણીતા હતા. આ વખતે તેમણે સાથી કલાકારોને કહ્યું હતું કે આ તેમની અંતિમ રામલીલા હશે, જેને લોકોએ મજાક માની હતી, પરંતુ આ શબ્દો દુખદ રીતે સાચા પડ્યા. તેમના નિધનથી સમગ્ર ચંબા શોકમાં ડૂબી ગયું છે.