Thursday, Mar 26, 2026

પહલગામ હુમલા બાદ LOC પર તંગદિલી, ભારે ગોળીબાર, આર્મી ચીફ દ્વિવેદી શ્રીનગર રવાના

2 Min Read

દેશમાં પહલગામ આતંકી હુમલાના વિરોધ અને ગુસ્સાના વચ્ચે LOC (નિયંત્રણ રેખા) પર ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાની સેનાએ કેટલીક જગ્યાએ નાની હથિયારોથી ગોળીબારી શરૂ કરી. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ કડક પ્રતિસાદ આપ્યો. ઘટનામાં ભારતના બે જવાનોએ ગોળી લાગ્યાની માહિતી મળી રહી છે. ભારતીય સેના આ મામલે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. બીજી તરફ, પહલગામના આતંકી હુમલા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ટૂંક સમયમાં શ્રીનગર અને ઉધમપુર માટે રવાના થશે. રક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ કાશ્મીર ઘાટીમાં તૈનાત સેનાના વરિષ્ઠ કમાન્ડરો અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેઓ ઘાટીમાં હાલની સુરક્ષા સ્થિતિનો તાગ લેશે અને LOC પર પાકિસ્તાનની સેના દ્વારા થનારા યુદ્ધવિરામના ઉલ્લંઘનના પ્રયાસોની સમીક્ષા કરશે.

પાકિસ્તાને ગુરુવારે ભારત સાથે થયેલા શિમલા કરાર અને અન્ય દ્વિપક્ષીય કરારોને સ્થગિત કર્યા છે. તેમણે તમામ પ્રકારના વેપાર પર રોક લગાવી છે અને ભારતીય એરલાઇન્સ માટે પોતાના હવાઈ માર્ગને બંધ કરી દીધો છે. સાથે જ પાકિસ્તાને ચેતવણી આપી છે કે સિંધુ જળ સંધિ અંતર્ગત તેમના માટે નિર્ધારિત પાણીના પ્રવાહને રોકવાનો અથવા બદલી નાખવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધ સમાન માનવામાં આવશે.

ભારતનો કડક જવાબ ભારતે મંગળવારે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બુધવારે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી અને પાકિસ્તાન સાથેના રાજનૈતિક સંબંધોને ઘટાડી દીધા છે. ભારતે આ નિર્ણય મંગળવારે થયેલા હુમલાના પગલે લીધો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા જવાબદારી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના શાખા સંગઠન “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)” એ સ્વીકારી હતી.

Share This Article