Thursday, Mar 26, 2026

સરકારી શિક્ષકોને નોકરીમાં રહેવા માટે શિક્ષક પાત્રતા પરીક્ષા ફરજિયાત: સુપ્રીમ કોર્ટ

2 Min Read

સુપ્રીમ કોર્ટે આજે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ નિર્દેશ આપ્યો છે કે હવે શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકોએ તેમની સેવામાં રહેવા અથવા પ્રમોશન મેળવવા માટે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે TET પાસ કરવી પડશે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું- જે શિક્ષકોની નોકરીમાં 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પાસ કરવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમણે રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે.

જોકે બેન્ચે એવા શિક્ષકોને રાહત આપી છે જેમની સેવામાં ફક્ત 5 વર્ષ બાકી છે. લઘુમતી સંસ્થાઓ માટે મોટી બેન્ચ નિર્ણય લેશે કોર્ટે કહ્યું હતું કે આ નિર્દેશ લઘુમતી સંસ્થાઓને લાગુ પડશે કે નહીં એ મોટી બેન્ચ નક્કી કરશે. તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં શિક્ષણ માટે ફરજિયાત TET સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો.

TET પરીક્ષા શું છે?
શિક્ષક પાત્રતા પરીક્ષા, એટલે કે TET એ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા કસોટી છે, જે નક્કી કરે છે કે ઉમેદવાર પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો (વર્ગ 1થી 8)માં શિક્ષક બનવા માટે લાયક છે કે નહીં. આ પરીક્ષા 2010માં રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ (NCTE) દ્વારા ફરજિયાત બનાવવામાં આવી હતી.

શું છે આખો મામલો?
RTE અધિનિયમ, 2009ની કલમ 23(1) મુજબ, શિક્ષકો માટેની લઘુતમ લાયકાત NCTE દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. NCTEએ 23 ઓગસ્ટ 2010ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં ધોરણ 1થી 8 માટે શિક્ષક બનવા માટે TET પાસ કરવી ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

NCTE એ શિક્ષક પદો પર નિયુક્ત ઉમેદવારોને TET પાસ કરવા માટે 5 વર્ષનો સમય આપ્યો હતો. આ સમય બાદમાં વધુ 4 વર્ષ લંબાવ્યો.

Share This Article