Tuesday, Apr 7, 2026

કાનપુરમાં તાંત્રિક કાંડ: વહુને નિર્વસ્ત્ર કરી પૂજા કરાવવાનો આક્ષેપ, સસરા-પતિ સામે FIR નોંધાઈ

3 Min Read

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક શ્રીમંત ઝવેરી પરિવાર સામે નવપરિણીત મહિલાએ દહેજ ઉત્પીડન, માનસિક અને શારીરિક ત્રાસ તથા તંત્ર-મંત્રની આડમાં અમાનવીય વર્તનના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે લગ્નના થોડા જ દિવસોમાં તેના સાસરિયાઓએ તેને તાંત્રિક વિધિમાં ભાગ લેવા માટે દબાણ કર્યું. વિરોધ કરતા તેના પતિ અને સસરાએ બળજબરીથી કપડાં ઉતારી તેને પરિવાર સામે નગ્ન બેસાડી તાંત્રિક પૂજા કરાવી હતી.

મહિલાના જણાવ્યા મુજબ, સાસરિયાઓ કહેતા હતા કે “નગ્ન રહીને તાંત્રિક વિધિ કરવાથી જ સંપત્તિ મળે છે.” આ ગંભીર મામલે મહિલાએ કાનપુર પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટના કાનપુરના પાંડુ નગર વિસ્તારમાં રહેતા ઝવેરી પરિવાર સાથે સંકળાયેલી છે. 25 વર્ષની પીડિતાના લગ્ન માર્ચ 2024માં થયા હતા. લગ્નમાં તેના પરિવાર દ્વારા 5 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં ફોર્ચ્યુનર કાર, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમ છતાં સાસરિયાઓ વધુ દહેજની માંગણી કરતા રહ્યા હતા. તેઓએ 2 કિલો સોનું અને 2 કરોડ રૂપિયા રોકડા ન મળતા સતત દબાણ કર્યું હતું.

મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી થોડા જ સમયમાં સાસરિયાઓના ઘરમાં તાંત્રિક વિધિઓ થતી હોવાની જાણ થઈ. મધરાત્રિથી સવાર સુધી ચાલતી આ વિધિઓમાં પરિવારના સભ્યો નગ્ન રહેતા હતા. સાસુ સહિતના લોકોએ મહિલાને પણ તેમાં જોડાવા કહ્યું, પરંતુ તેણે ઇનકાર કર્યો. ત્યારબાદ તેના પતિ અને સસરાએ બળજબરીથી કપડાં ઉતારી દીધા અને તેને અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધી.

આ દરમિયાન સાસુએ તેને માર માર્યો અને કહ્યું કે તેના પર “છાયો” છે. મહિલાના જણાવ્યા મુજબ, તેના શરીર પર રાખ લગાવવામાં આવી અને તેને ધમકી આપવામાં આવી કે જો તે આ વિધિઓમાં ભાગ નહીં લે તો તેને તાંત્રિક રીતે નુકસાન પહોંચાડવામાં આવશે. પતિએ તેને સસરા સાથે રૂમમાં બંધ કરી દીધી અને કલાકો સુધી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો.

મહિલાએ વધુમાં જણાવ્યું કે આ પછી પણ ત્રાસ બંધ થયો નહોતો. તેને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે તે પોતાના પિયરમાં પરત ફરી અને સમગ્ર ઘટના જણાવી, ત્યારે પણ સાસરિયાઓએ વધારાના દહેજ રૂપે એક કિલો સોનું અને ઘર લાવવા માટે દબાણ કર્યું. અંતે તેને માત્ર બે કપડાંમાં જ ઘરની બહાર કાઢી મુકવામાં આવી.

30 માર્ચે પીડિતાએ પોલીસ કમિશનર રઘુબીર લાલને મળી સમગ્ર ઘટના વર્ણવી હતી. તેમની સૂચનાથી સિવિલ લાઇન્સ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ અને અન્ય પરિવારજનો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલે આરોપી પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના મોબાઇલ ફોન બંધ મળ્યા હતા. મહિલા અધિકાર સંગઠનો પણ આ કેસ પર નજર રાખી રહ્યા છે અને તાંત્રિક વિધિના નામે મહિલાઓ પર થતા અત્યાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Share This Article