આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે. આ નિર્ણયને રાઘવ ચઢ્ઢાની રાજકીય કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત માનવામાં આવી રહ્યો છે.
સોમવારે રાજ્યસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તરત જ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ૧૧ ઓગસ્ટે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હું મારું સસ્પેન્શન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી અને હવે ૧૧૫ દિવસ બાદ મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. હું ખુશ છું કે મારું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માનું છું.
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ અનુશાસનહીનતાના આરોપમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહના કેટલાક સાંસદોએ ચઢ્ઢા પર તેમની સંમતિ વિના ઠરાવમાં તેમનું નામ ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. આક્ષેપો કરનારાઓમાં મોટાભાગના સત્તાધારી ભાજપના સભ્યો હતા. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, રાઘવ ચઢ્ઢાએ તેમની સંમતિ લીધા વિના દિલ્હી સર્વિસ બિલની તપાસ કરવા માટે પસંદગી સમિતિની રચના કરવાની માંગ કરી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લેતા રાજ્યસભાના અધ્યક્ષે વિશેષાધિકાર સમિતિની તપાસ બાકી રહેતા ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પણ વાંચો :-